એક મહત્વાકાંક્ષી શેફની બચત અને આજીવિકાનું પતન: માલિક મનમોહન સિંહ આઘાતમાં, મકાનમાલિક સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે રેસ્ટોરન્ટની લીઝ સમાપ્ત કરવામાં આવી

ઑકલેન્ડના પૉન્સનબે રોડ પર આવેલું ભારતીય ભોજનનું એક ઊભરતું રેસ્ટોરન્ટ ‘રાહી’ બંધ થઈ ગયું છે. મકાનમાલિક સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે રેસ્ટોરન્ટની લીઝ સમાપ્ત કરવામાં આવી અને તાળાબંધી કરી દેવાઈ છે. પૂર્વમાં ‘1947 ઈટરી’ના હેડ શેફ રહી ચૂકેલા મનમોહન સિંહે ગયા વર્ષે જૂનમાં પોતાના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર સાથે ‘રાહી’ની શરૂઆત કરી હતી.

શરૂઆતમાં ‘રાહી’ની ખૂબ પ્રશંસા થઈ હતી. પ્રખ્યાત ફૂડ રિવ્યૂ એડિટરે તેના વખાણ કરતા લખ્યું હતું કે સિંહનું લક્ષ્ય ભારતના ફાઈન હોટેલ્સમાં મળે તેવું ઉત્તમ ભોજન ઑકલેન્ડમાં પીરસવાનું હતું, અને તેમના ભોજનની ગુણવત્તા શહેરના અન્ય ભોજન કરતાં ‘નોંધપાત્ર રીતે ચઢિયાતી’ હતી.

રેસ્ટોરન્ટ મે મહિનામાં નવીનીકરણ માટે બંધ થયું હતું અને સપ્ટેમ્બરમાં ફરી ખોલવાનું આયોજન હતું. જોકે, ભાડાની ચૂકવણીમાં વિલંબ થતાં અને નવીનીકરણના ખર્ચાઓની ભરપાઈ કરવા માટે સિંહે માસિક હપ્તાઓમાં રાહતની વિનંતી કરી. ઑગસ્ટમાં, તેમણે વરસાદથી ગ્રાહકોને બચાવવા માટે ખુલ્લા બેકયાર્ડમાં લગભગ $20,000 ખર્ચીને એક છત્ર (pergola) બનાવ્યો હતો. પરંતુ પૂર્વ મંજૂરી ન હોવાના કારણે, મકાનમાલિક સેમસન કોર્પોરેશને સિંહને તે સ્ટ્રક્ચર દૂર કરવા અથવા નિયમોનું પાલન સાબિત કરવા કહ્યું. સિંહે સપ્ટેમ્બરમાં આ સ્ટ્રક્ચર હટાવી દીધું.

માંદગી અને સમય મર્યાદાનું ચૂકી જવું

મનમોહન સિંહે ઈમેઈલ દ્વારા ભૂલ બદલ માફી માંગી હતી અને ખુલ્લા બેકયાર્ડની સમસ્યા અંગે લાંબા ગાળાના ઉકેલ માટે વ્યક્તિગત રીતે મળવા વિનંતી કરી હતી. તેમણે ચોરી અને બેઘર લોકો શૌચાલયમાં પ્રવેશવા જેવી સમસ્યાઓ જણાવી હતી, જે વ્યવસાયને નુકસાન પહોંચાડી રહી હતી. જોકે, આ દરમિયાન તેમને તાત્કાલિક ભારત પરત જવું પડ્યું. તેમણે મકાનમાલિકને જાણ કરી કે તેઓ બાકી ભાડું ચૂકવીને પાછા આવીને રેસ્ટોરન્ટ ફરી શરૂ કરશે.

તેઓ વિદેશમાં હતા ત્યારે જ, તેમને પ્રોપર્ટી લો નોટિસ મળી, જેમાં લીઝ સમાપ્ત થતી અટકાવવા માટે 20 ઑક્ટોબર સુધીમાં $10,964.47 ની ચુકવણીની માંગ કરવામાં આવી હતી. સિંહ આ સમયમર્યાદા ચૂકી ગયા અને 21 ઑક્ટોબરે લીઝ રદ કરવામાં આવી. મકાનમાલિકે બીજા જ દિવસે તેમની ચુકવણી લેવાનો ઇનકાર કર્યો અને પાંચ કામકાજના દિવસોમાં તમામ વસ્તુઓ હટાવવાનો આદેશ આપ્યો. સિંહે દાવો કર્યો કે તેમને પૂરતો સમય આપવામાં ન આવ્યો અને જ્યારે પણ તેમણે વસ્તુઓ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે જગ્યા પર તાળું હતું.

મનમોહન સિંહે શરૂઆતથી $200,000 નું રોકાણ ‘રાહી’ માં કર્યું હતું. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પોતાની સમગ્ર જીવનની બચત અને આજીવિકા ગુમાવી દીધી છે, અને હવે તેઓ આયોજન મુજબ તેમના પરિવારને ભારતથી અહીં લાવી શકશે નહીં. સિંહે આઘાત વ્યક્ત કર્યો, “મને લાગે છે કે હું મરી ગયો છું, કારણ કે મારું આખું જીવન સમાપ્ત થઈ ગયું છે. મારા બાળકો હવે અહીં આવી શકશે નહીં. હું કંઈ કરી શકું તેમ નથી.”

મકાનમાલિકે સિંહની અંગત પરિસ્થિતિ સ્વીકારી પરંતુ કહ્યું કે કંપનીએ કાયદાકીય રીતે જ કામ કર્યું છે, કારણ કે સિંહે ઘણા મહિનાઓથી ભાડું ચૂકવ્યું ન હતું. સિંહે હજી પણ આશા રાખી છે કે તેમને રેસ્ટોરન્ટ ચાલુ રાખવાની તક મળે અને તેમણે મકાનમાલિક સમક્ષ સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો છે.