સંસદમાં ગતરોજ બનેલી સુરક્ષામાં ચૂક મામલે આજે સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો અને આ બધા વચ્ચે TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયને અધ્યક્ષ પાસે જઈને સૂત્રોચ્ચાર કરતા તેઓને સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આજે 14 ડિસેમ્બરને ગુરુવારના રોજ સંસદના શિયાળુ સત્રનો નવમા દિવસે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહમાં વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ભારે હંગામો મચાવ્યો હતો આ સમયે TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન વેલમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરતા સ્પીકર જગદીપ ધનખડે તેઓને આવું કરતા અટકાવી તેમને ગૃહમાંથી બહાર જવા માટે કહ્યું. આ પછી, ડેરેકને સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાટીએમસી સાંસદ ડોલા સેને ડેરેક ઓ’બ્રાયનને સસ્પેન્ડ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે વેલમાં જઈને જનહિત સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવવા એ અમારો અધિકાર છે. ડેરેક ઓ’બ્રાયને કંઈ ખોટું કર્યું નથી. સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે વડાપ્રધાન અને ગૃહમંત્રી મૌન છે, તેથી વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યો છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યો છે તે ખોટું નથી.

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લખ્યું છે કે વિપક્ષી દળોની માંગ છે કે ગૃહમંત્રીએ સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે બંને ગૃહોમાં વિગતવાર નિવેદન આપવું જોઈએ અને સંસદમાં આ અંગે વિગતવાર ચર્ચા થવી જોઈએ. તેમણે ઘૂસણખોરોને વિઝિટર પાસ પૂરા પાડનારા ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી.

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, ‘આના માટે સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. ગત વખતે જ્યારે હુમલો થયો ત્યારે આતંકવાદીઓ સંસદની અંદર પહોંચી શક્યા ન હતા પરંતુ આ વખતે તેઓ લોકસભામાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું, ‘જો આપણે મૌન રહીએ તો તેનો અર્થ એ છે કે અમે અમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યાં નથી.’ડેરેક ઓ’બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ભાજપના સાંસદ પીયૂષ ગોયલે રજૂ કર્યો હતો. અહેવાલ છે કે બ્રાયન સંસદમાં સુરક્ષા ક્ષતિના મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે સ્પીકર પાસે વેલમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો પ્રયાસ કર્યો. આ પછી ટીએમસી સાંસદને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં લાવવામાં આવ્યો હતો.ધનખરે પછી જાહેરાત કરી, “ડેરેક ઓ’બ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી જાહેરાત બાદ વિપક્ષી સભ્યોએ ‘સરમુખત્યારશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે હોબાળા વચ્ચે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો. તેથી અધ્યક્ષે 12.05 કલાકે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.