લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન દુર્ઘટનાગ્રસ્ત; કાટમાળમાંથી 57 જવાનોને જીવિત બહાર કઢાયા, રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
કોલમ્બિયાના દક્ષિણ એમેઝોન વિસ્તારમાં 110 સૈનિકોને લઈ જઈ રહેલું એક સૈન્ય વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માત લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન સાથે સર્જાયો હતો, જે પેરુની સરહદ નજીક આવેલા પુએર્તો લેગુઝામો કસબા પાસે તૂટી પડ્યું હતું. આ અકસ્માત શહેરી વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વિમાનમાં કુલ 110 સૈનિકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 57 જવાનોને કાટમાળમાંથી જીવિત બહાર કાઢવામાં સફળતા મળી છે. બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સત્તાવાળાઓ બાકીના સૈનિકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
કોલમ્બિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “આવી ભયાનક દુર્ઘટના ક્યારેય ન થવી જોઈએ. હું આશા રાખું છું કે આમાં કોઈ જાનહાનિ ન થઈ હોય.” રાષ્ટ્રપતિએ આ અકસ્માતને સૈન્ય સાધનોના આધુનિકીકરણમાં થઈ રહેલા વિલંબ સાથે જોડ્યો હતો. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓ હવે વધુ વિલંબ સહન નહીં કરે, કારણ કે યુવાનોના જીવન દાવ પર લાગેલા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો વહીવટી અધિકારીઓ આ પડકારને પહોંચી વળવા સક્ષમ ન હોય, તો તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ.
હર્ક્યુલસ C-130 વિમાનનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તે 1950ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહન માટે વપરાય છે. કોલમ્બિયા 1960ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, આ વિમાનો હવે ઘણા જૂના થઈ ગયા હોવાથી અને સમયસર ટેકનોલોજી અપગ્રેડ ન થવાને કારણે અવારનવાર સુરક્ષા અને ટેકનિકલ ખામી અંગેના પ્રશ્નો ઊભા થતા રહ્યા છે, જે આ ભયાનક દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે.