ન્યૂઝીલેન્ડ બોર્ડનો BCCI પાસે 3 ને બદલે 5 વનડેની સિરીઝ રમવાનો પ્રસ્તાવ, એડવર્ટાઈઝિંગ અને પ્રસારણ દ્વારા ન્યૂઝીલેન્ડ ક્રિકેટને કરોડો ડોલરનો ફાયદો લેવાનો પ્લાન

વેલિંગ્ટન/મુંબઈ: વર્ષ 2026 માં ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવનારી છે, ત્યારે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) એ આર્થિક નફો રળવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે કે આગામી શ્રેણીમાં વનડે મેચોની સંખ્યા 3 થી વધારીને 5 કરવામાં આવે. આ માંગ પાછળનું મુખ્ય કારણ ભારતના બે સુપરસ્ટાર ખેલાડીઓ – રોહિત શર્મા અને વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ છે.
‘રોકો’ (Ro-Ko) ની લોકપ્રિયતાનો લેવો છે આર્થિક લાહવો
રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યારે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ સક્રિય છે. તેઓ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી ન્યૂઝીલેન્ડ બોર્ડને ભય છે કે ટી20 શ્રેણીમાં દર્શકો અને સ્પોન્સર્સનો ઉત્સાહ ઓછો રહી શકે છે. આ ખોટને સરભર કરવા અને વધુ કમાણી કરવા માટે બોર્ડ ઈચ્છે છે કે રોહિત અને વિરાટ વધુમાં વધુ વનડે મેચો રમે, જેથી ટિકિટના વેચાણ અને બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ દ્વારા મોટી રકમ એકઠી કરી શકાય.
શું છે ટીમ ઈન્ડિયાનો મૂળ કાર્યક્રમ?
અત્યાર સુધી નક્કી થયેલા શિડ્યુલ મુજબ, ભારતનો 2026 નો ન્યૂઝીલેન્ડ પ્રવાસ નીચે મુજબના ફોર્મેટમાં રમાવાનો હતો:
- ટેસ્ટ મેચ: 2 (WTC 2025-27 ના ભાગરૂપે)
- વનડે મેચ: 3 (જેને વધારીને હવે 5 કરવાની માંગ છે)
- ટી20 મેચ: 5 જો BCCI આ પ્રસ્તાવ સ્વીકારશે, તો શ્રેણી વધુ લાંબી અને રોમાંચક બનશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં થઈ શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે મહત્વનો પ્રવાસ
નવેમ્બર 2022 પછી ભારતીય ટીમ પ્રથમ વખત સંપૂર્ણ શક્તિ સાથે ન્યૂઝીલેન્ડ જશે. આ પ્રવાસની બે ટેસ્ટ મેચો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે ન્યૂઝીલેન્ડની ધરતી પર જીત મેળવવી અનિવાર્ય છે.
ક્રિકેટ બોર્ડ માટે ‘કુબેરનો ખજાનો’
વિશ્વમાં ગમે ત્યાં ક્રિકેટ રમાતું હોય, પરંતુ રોહિત અને વિરાટની હાજરી યજમાન દેશ માટે સોનાની લગડી સમાન હોય છે. ન્યૂઝીલેન્ડમાં પણ ભારતીય સમુદાય મોટી સંખ્યામાં છે, જેઓ આ બંને દિગ્ગજોને મેદાન પર જોવા માટે આતુર છે. જો 5 વનડે મેચ રમાય, તો એડવર્ટાઈઝિંગ અને પ્રસારણ દ્વારા ન્યૂઝીલેન્ડ ક્રિકેટને કરોડો ડોલરનો ફાયદો થઈ શકે તેમ છે.