34 વર્ષની વયે ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્ક મેયરપદની ચૂંટણી જીતી; 19મી સદી પછીના સૌથી યુવા મેયર તરીકે 1 જાન્યુઆરી 2026 થી કાર્યભાર સંભાળશે
- રેકોર્ડબ્રેક જીત: 20 લાખથી વધુ મતદાન સાથે 50.40% મતો મેળવ્યા
- યુવા અને ઇમિગ્રન્ટ મતદારોનું સમર્થન: કુઓમોને હરાવી ન્યૂયોર્કના 111મા મેયર બન્યા
- ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ: સસ્તા આવાસ, ધનિકો પર કર વધારો અને પોલીસ સુધારણાનું વચન
ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ | 4 નવેમ્બર 2025
ન્યૂયોર્ક શહેરના મેયરપદની ચૂંટણીમાં 34 વર્ષીય ઝોહરાન ક્વામે મમદાનીએ ભવ્ય જીત હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. તેઓ 1 જાન્યુઆરી 2026 થી ન્યૂયોર્ક શહેરના 111મા મેયર તરીકે કાર્યભાર સંભાળશે. આ જીત સાથે, ઝોહરાન મમદાની 19મી સદી પછીના સૌથી યુવા મેયર બન્યા છે, તેમજ તેઓ ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દક્ષિણ એશિયન મેયર બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે.
રેકોર્ડબ્રેક જીત: 20 લાખથી વધુ મતદાન સાથે 50.40% મતો મેળવ્યા
ઝોહરાન મમદાનીએ આ ચૂંટણીમાં ભારે મતોના તફાવતથી વિજય મેળવ્યો છે. ન્યૂયોર્કના ઇતિહાસમાં આ ચૂંટણીમાં 20 લાખથી વધુ મતો પડ્યા, જે 1969 પછીનું સૌથી ઊંચું મતદાન ગણાય છે.
- ઝોહરાન મમદાની: 10 લાખ 9 હજાર 470 મત, 50.40%
- એન્ડ્રુ કુઓમો (ઇન્ડિપેન્ડન્ટ): 8 લાખ 34 હજાર 693 મત, 41.3%
જૂનમાં યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં પણ મમદાનીએ કુઓમોને હરાવ્યા હતા.
યુવા અને ઇમિગ્રન્ટ મતદારોનું સમર્થન: કુઓમોને હરાવી ન્યૂયોર્કના 111મા મેયર બન્યા
આ ચૂંટણીમાં યુવા અને ઇમિગ્રન્ટ મતદારોનો ભારે ટેકો મમદાનીને મળ્યો હતો. મમદાનીની આ જીતને રાજકીય વિશ્લેષકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સામેની જીત તરીકે પણ જોવામાં આવી રહી છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ: સસ્તા આવાસ, ધનિકો પર કર વધારો અને પોલીસ સુધારણાનું વચન
ઝોહરાન મમદાનીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક પ્રગતિશીલ અને લોકલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના કારણે તેમને યુવા વર્ગ અને કામદાર સમુદાયનો ટેકો મળ્યો:
- સસ્તા આવાસ: સસ્તા આવાસનું નિર્માણ.
- આર્થિક ન્યાય: ધનિકો પર વધુ કર (વધારો) લાદવો.
- સામાજિક કલ્યાણ: પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બાળ સંભાળ (Child Care) મફત આપવી.
- ભાડા નિયંત્રણ: રેન્ટ-સ્ટેબલાઇઝ્ડ એપાર્ટમેન્ટ્સ માટે ભાડું સ્થિર (Rent Freeze) કરવું.
- વહીવટી સુધારણા: પોલીસ વિભાગમાં મોટા પાયે સુધારણા કરવી.
હવે ન્યૂયોર્કના લોકો ઉત્સુકતાથી જોઈ રહ્યા છે કે ન્યૂયોર્કના ઇતિહાસના આ સૌથી યુવા મેયર ઝોહરાન મમદાની તેમના ચૂંટણી વચનોને કેટલા સમયમાં પૂરા કરે છે.