મેચ પહેલા સૂર્યકુમારે પાકિસ્તાની કપ્તાન સાથે હાથ મિલાવવાનો કર્યો ઇનકાર, એશિયા કપમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતની શાનદાર જીત

એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે આ જીત સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારોને સમર્પિત કરી હતી. સૂર્યકુમારે કહ્યું હતું કે, “અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઊભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ અને આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માગીએ છીએ. આશા છે કે તેઓ અમને હંમેશા પ્રેરણા આપતા રહેશે.”

મેચ સમાપ્ત થયા બાદ જ્યારે સૂર્યકુમાર પોસ્ટ-મેચ સેરેમની માટે પહોંચ્યા, ત્યારે ચાહકો ‘હેપ્પી બર્થડે’ ના નારા લગાવી રહ્યા હતા, કારણ કે રવિવાર તેમનો જન્મદિવસ પણ હતો. આ જીતને પોતાના માટે ‘પરફેક્ટ રિટર્ન ગિફ્ટ’ ગણાવતા સૂર્યકુમારે કહ્યું કે, “આ એક અદ્ભુત લાગણી છે. જ્યારે તમે આ વિશે વિચારો છો, ત્યારે તે સતત તમારા મગજમાં ચાલતું રહે છે. તમે જીતવા માગો છો અને જ્યારે જીત થાય છે, ત્યારે તે એક યાદગાર ક્ષણ હોય છે.”

ટોસ સમયે પણ પાકિસ્તાનને આકરો સંદેશ
આ જીત પહેલાં, ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગા સાથે પરંપરાગત રીતે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સૂર્યકુમારે ટોસના થોડા કલાક પહેલાં જ ટીમ મેનેજમેન્ટને આ નિર્ણય વિશે જાણ કરી હતી. તેમણે પોતાના સાથી ખેલાડીઓને પણ કહ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવું કે નહીં તે તેમની મરજી પર છે.

આ મેચ એવા સમયે રમાઈ હતી જ્યારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને મેચનો બહિષ્કાર કરવાની માંગ પણ ઉઠી રહી હતી. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોએશટે પણ આ મેચ પહેલા સ્વીકાર્યું હતું કે તેઓ લોકોની લાગણીઓથી વાકેફ છે.

મેચની વાત કરીએ તો, ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય બોલરોએ પાકિસ્તાનને માત્ર 127 રનમાં જ રોકી દીધું અને ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્ય 25 બોલ બાકી રહેતા 7 વિકેટે સરળતાથી હાંસલ કરી લીધો.