પાકિસ્તાનમાં સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતા મૌલાના મસૂદૂર રહેમાન ઉસ્માનીની ઈસ્લામાબાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારે તંગદીલી જોવા મળી રહી છે,ચૂંટણી પહેલા બનેલી આ હત્યાને લઈ તણાવનો માહોલ છવાયો છે.

શુક્રવારે (05 જાન્યુઆરી) સાંજે, સુન્ની ઉલેમા કાઉન્સિલ (SUC)ના નેતા મૌલાના મસૂદ ઉર રહેમાન ઉસ્માનીની ઈસ્લામાબાદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી,આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે અજાણ્યા સશસ્ત્ર લોકોએ સુન્ની ઉલેમા કાઉન્સિલના ડેપ્યુટી જનરલ સેક્રેટરી મસૂદ ઉસ્માનીની કાર પર ગોળીબાર કર્યો હતો,જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદના ગૌરી ટાઉનમાં આ ઘટના બની હતી અને ઘટનાને અંજામ આપનાર બે અજાણ્યા બંદૂકધારીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ હુમલામાં ઉસ્માનીના ડ્રાઈવરને પણ ગોળીઓ વાગી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે.
આઈજીપી ઈસ્લામાબાદ ડૉ.અકબર નાસિરે કહ્યું કે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
જોકે,હજુ સુધી કોઈ જૂથે મસૂદના મોતની જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, તેથી હિંસામાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉત્તર વઝીરિસ્તાનમાં પૂર્વ નેશનલ એસેમ્બલીના સભ્ય અને નેશનલ ડેમોક્રેટિક મૂવમેન્ટ (NDM)ના નેતા મોહસિન દાવરના કાફલા પર આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે.
આ પહેલા ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાનમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના સુપ્રીમો મૌલાના ફઝલુર રહેમાનના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આમ,ચૂંટણી પહેલા આ પ્રકારની ઘટનાઓ બનતા તંગદીલી વ્યાપી ગઈ છે.