ગુજરાતમાં રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં 32 જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ મોડી રાત્રે રાજધાની દિલ્હીના વિવેક વિહાર સ્થિત બેબી કેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા સાત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા જયારે પાંચ નવજાત શિશુઓને અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર કર્મીઓ તેમજ સ્થાનિક લોકોએ હોસ્પિટલમાંથી 12 નવજાત બાળકોને બચાવ્યા હતા આ બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન છ બાળકોના મોત થયા હતા, જ્યારે એક બાળક આઈસીયુમાં હતો, જેનું આજે સવારે મોત થતા મૃત્યુ આંક 7 થયો છે.

જે રીતે માહિતી સામે આવી રહી છે તે મુજબ ફર્સ્ટ ફ્લોર ઉપર ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ બે ઈમારતો આગની લપેટમાં આવી ગઈ હતી.
આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘણા ઓક્સિજન સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હતા,કહેવામાં આવી રહ્યું છે કે બેબી કેર સિલિન્ડરમાં મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા.
પોલીસે આ ઘટનામાં હોસ્પિટલના માલિક નવીન કીચી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.