ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુ એનડીએ તરફથી ઉમેદવાર હશે.

ભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA વતી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર વિચાર મંથન કરવા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પાર્ટી મુખ્યાલયમાં મળી હતી.

આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો પાર ન પડ્યો.

આ જાહેરાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, લાખો લોકો, ખાસ કરીને જેમણે ગરીબીનો અનુભવ કર્યો છે અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેઓ દ્રૌપદી મુર્મુના જીવનમાંથી ખૂબ જ શક્તિ મેળવે છે. નીતિ વિષયક બાબતોની તેમની સમજણ અને દયાળુ સ્વભાવ આપણા દેશને ઘણો ફાયદો કરશે.

કોણ છે દ્રૌપદી મુર્મુ?

આદિવાસી સમાજ સાથે સંબંધ ધરાવતી દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડની રાજ્યપાલ રહી ચુકી છે. મુર્મુ ઓડિશાના રાયરંગપુરનો છે. 64 વર્ષીય મુર્મુનો ગઇકાલે જ જન્મદિવસ હતો.

સૂત્રોએ જણાવ્યું કે દ્રૌપદી મુર્મુ 25 જૂને પોતાનું નામાંકન દાખલ કરી શકે છે. ભાજપે તેના તમામ કેન્દ્રીય મંત્રીઓને 24 અને 25 જૂને દિલ્હીમાં જ રહેવા કહ્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિપક્ષના ઉમેદવાર તરીકે સિન્હાના નામની જાહેરાત બાદ હવે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18 જુલાઈએ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.