મીડલ ઇસ્ટમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષો અને અસ્થિરતાને કારણે વિશ્વના વધુ 45 million લોકો તીવ્ર ભૂખમરાનો શિકાર બની શકે
New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ 18 March 2026 : સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ March 2026નો એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ અને તેની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષો અને અસ્થિરતાને કારણે વિશ્વના વધુ 45 million લોકો તીવ્ર ભૂખમરાનો શિકાર બની શકે છે. જો યુદ્ધ અને હિંસા લાંબો સમય ચાલશે, તો આ આંકડો માનવ ઇતિહાસની સૌથી મોટી કટોકટીમાં ફેરવાઈ શકે છે.
UNના અહેવાલમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે માનવીય સહાય માટે મળતા ફંડમાં મોટો ઘટાડો થયો છે. આ કારણે જરૂરિયાતમંદોને અપાતા રાશનમાં 50% સુધીનો કાપ મૂકવો પડ્યો છે. માત્ર ગોળીબાર કે બોમ્બમારો જ નહીં, પરંતુ તેનાથી ઊભી થતી આર્થિક અસરો આ વિનાશનું કારણ બની રહી છે.
આ સમસ્યા આટલી વિકટ કેમ બની?
ભયાનક હિંસાને કારણે ખેતરો ઉજ્જડ થઈ ગયા છે અને ખેડૂતો પલાયન કરી રહ્યા છે. ખાતર અને ઇંધણના ભાવ આસમાને પહોંચતા પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે. લાલ સમુદ્ર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા દરિયાઈ માર્ગો પર તણાવને કારણે અનાજની અવરજવર ઠપ થઈ છે, પરિણામે ખાંડ, તેલ અને લોટ જેવી ચીજોના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સ્થિતિ:
- સુદાન: અહીં 25 millionથી વધુ લોકો ભૂખ્યા રહેવા મજબૂર છે. લગભગ 80% ઘઉંની આયાત પર નિર્ભર આ દેશમાં ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
- ગાઝા: લગભગ 94% વસ્તી ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે. બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે.
- યમન: દેશની 80% વસ્તીને જીવવા માટે વિદેશી મદદની જરૂર છે. શુદ્ધ ખોરાકની અછતને કારણે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.
- લેબનોન: આર્થિક કટોકટી અને સરહદી સંઘર્ષને કારણે તીવ્ર ભૂખમરાનું જોખમ 14% વધ્યું છે.
- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC): આંતરિક જૂથવાદને કારણે આ દેશમાં આશરે 23 million લોકો એવા છે જેમને પૂરતો આહાર મળતો નથી.
- હૈતી: કેરેબિયન દેશ હૈતીમાં ગેંગ વોર એટલું વધી ગયું છે કે રાજધાની સુધી અનાજ પહોંચાડવું અશક્ય બની ગયું છે.
વૈશ્વિક અસરો
UNના રિપોર્ટ મુજબ, એશિયાના દેશોમાં પણ ખાદ્ય અસુરક્ષામાં 24%નો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ જો 100 dollars પ્રતિ બેરલથી ઉપર રહેશે, તો પરિવહન ખર્ચ વધવાથી ભારતીય ઉપખંડમાં પણ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. “આ માત્ર આંકડા નથી, પરંતુ માનવીય જીવન પરનું મોટું સંકટ છે. જો વિશ્વના શક્તિશાળી દેશો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો દુનિયા સદીના સૌથી ભયાનક ભૂખમરાની સાક્ષી બનશે.”