શ્રમ શોષણના આરોપોની ચાર વર્ષ લાંબી ફેડરલ તપાસ સમાપ્ત; BAPS સંગઠને આ નિર્ણયનું સ્વાગત કર્યું, ન્યાય વિભાગે કેસ બંધ કર્યો, હવે સિવિલ કેસ આગળ વધશે

Worker exploitation case, BAPS Robbinsville temple, civil lawsuit, labor trafficking allegations,

ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સામેના લેબર ટ્રાફિકિંગ (શ્રમ શોષણ)ના આરોપોની ફેડરલ તપાસ હવે પૂરી થઈ ગઈ છે. ન્યાય વિભાગ (DOJ) દ્વારા તપાસ બંધ કરવાનો નિર્ણય લેવાતા, છેલ્લા ચાર વર્ષથી અટવાયેલો સિવિલ કેસ હવે ફરી શરૂ થશે.

મંદિરના કાયદાકીય સલાહકાર પોલ જે. ફિશમેને 18 સપ્ટેમ્બરના એક પત્રમાં જણાવ્યું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તાજેતરમાં તેમને જાણ કરી છે કે તેમણે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) અને તેના સંલગ્ન સંગઠનો સામેની તપાસ બંધ કરી દીધી છે.

આ કેસ 2021માં ત્યારે શરૂ થયો હતો જ્યારે ડઝનબંધ ભૂતપૂર્વ કારીગરોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ધાર્મિક વિઝા પર ભારતથી અમેરિકા લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને મંદિરના નિર્માણ માટે લાંબા કલાકો સુધી ભારે મજૂરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ કારીગરોને કલાક દીઠ માત્ર $1.20 જેટલું ઓછું વેતન ચૂકવવામાં આવતું હોવાનો અને તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાનો આરોપ હતો.

BAPS સંગઠને શરૂઆતથી જ આ આરોપોને નકાર્યા છે. તેમનું કહેવું છે કે આ કારીગરો નોકરી પર રાખેલા કામદારો નહીં, પરંતુ શ્રદ્ધા અને પરંપરાથી પ્રેરિત સ્વયંસેવકો હતા જેઓ ‘સેવા’ કરી રહ્યા હતા. સંગઠનનું કહેવું છે કે કેટલાક ફરિયાદીઓ પાછળથી કેસમાંથી પીછેહઠ કરી ગયા હતા અને દાવો કર્યો હતો કે તેમને કેસમાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

DOJની તપાસ બંધ થયા બાદ હવે સિવિલ કેસ ફરીથી ફેડરલ કોર્ટમાં ચાલશે. BAPSના વકીલોએ જણાવ્યું છે કે તેઓ ફરિયાદી પક્ષ સાથે ચર્ચા કરીને કેસની આગામી સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરશે.

BAPS સંસ્થાએ આ નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે, “આ નિર્ણય સ્પષ્ટ અને શક્તિશાળી સંદેશ છે કે રોબિન્સવિલે મંદિરનું નિર્માણ હજારો ભક્તોના પ્રેમ, સમર્પણ અને સ્વૈચ્છિક સેવા દ્વારા થયું હતું.” સંગઠને ઉમેર્યું કે આ મંદિર હિન્દુ સમુદાય અમેરિકાના ફેબ્રિકનો અભિન્ન અંગ કેવી રીતે બની ગયો છે તેનું એક શાશ્વત પ્રતીક છે.