બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. ચાર મેચોની આ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ હવે 2-0ની લીડ મેળવી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટના બીજા દિવસે પોતાની સ્થિતિ નિશ્ચિતપણે મજબૂત કરી લીધી હતી, પરંતુ ત્રીજા દિવસનું પહેલું સત્ર તેના માટે ઘણું ખરાબ રહ્યું અને તે ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ આપી શક્યું નહીં. પરિણામ એ આવ્યું કે હવે ભારતીય ટીમે ચાર મેચની આ ટેસ્ટ શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે.

પ્રથમ દિવસે ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72) સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં ટકી શક્યો નહોતો અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 અને જાડેજા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા.

ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે મજબૂતી બતાવી હતી
બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. હાલત એવી હતી કે ભારતીય ટીમ 139 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. અહીંથી, અક્ષર પટેલ અને આર અશ્વિને 114 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફરી જીવંત કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 5 અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 2-2 વિકેટ મળી હતી.

અહીં ઓસ્ટ્રેલિયાને માત્ર એક રનની લીડ મળી નથી, પરંતુ દિવસની રમતના અંતે તેના બેટ્સમેનોએ એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. એટલે કે કુલ લીડ 62 રનની હતી. અહીં ઓસ્ટ્રેલિયાની ટીમે ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી હતી.

ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં સમગ્ર રમત પલટાઈ ગઈ હતી
ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 61/1ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. અહીં પહેલા સેશનમાં જ ભારતીય સ્પિનરોને એટલી મદદ મળી કે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર 113 રનમાં સમેટાઈ ગયો. ઓસ્ટ્રેલિયાનો એક પણ બેટ્સમેન પીચ પર લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ પહેલા સેશનમાં માત્ર 52 રન ઉમેરીને 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જાડેજાએ 7 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.

ભારતને માત્ર 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો
જાડેજા અને અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમને માત્ર 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અહીં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કેએલ રાહુલ (1) જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે માત્ર 20 બોલમાં 31 રન બનાવ્યા હતા પરંતુ તે રનઆઉટ થયો હતો. ભારતે 39 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ટોડ મર્ફીએ વિરાટ કોહલી (21)ને કુલ 69 રન પર સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી શ્રેયસ અય્યર (12) પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ચેતેશ્વર પૂજારા (31) અને કેએસ ભરત (23)એ ભારતને જીત અપાવી હતી. બંને ખેલાડીઓ અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા.