ભારત 75માં ગણતંત્ર દિવસની તૈયારીમાં વ્યસ્ત છે,26મી જાન્યુઆરીની પરેડ માટે દિલ્હીમાં તૈયારીઓ પૂર્ણ થઈ છે.
આ દિવસે ઘણા વિદેશી પર્યટકો પણ ભારતની આ ઉજવણીમાં ભાગ લેવા રાજધાની દિલ્હી પહોંચી રહ્યા છે.
આ તૈયારીઓ અને ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને સુરક્ષા દળો તૈયાર છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, 26 જાન્યુઆરીએ પરેડના દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને કર્તવ્ય પથ અને તેની આસપાસ 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.

સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું છે કે 77 હજારથી વધુ મહેમાનોની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોના વિવિધ એકમો પરસ્પર સંકલનથી કામ કરશે.
સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (QRT), PCR વાન અને SWAT ટીમો પણ અલગ-અલગ સ્થળોએ તૈનાત રહેશે.
તેમનું કહેવું છે કે દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ કહ્યું છે કે વિસ્તારને 28 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોન પર ડીસીપી અથવા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પણ મુલાકાતીઓની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરી છે.
પોલીસે ગુમ થયેલાઓ માટે બૂથ, હેલ્પ ડેસ્ક, પ્રાથમિક સારવાર કેન્દ્રો અને વાહનોની ચાવીઓ ગુમ થાયતો જમા કરાવવા માટે કેન્દ્રો પણ ઉભા કર્યા છે.

દિલ્હી પોલીસે મુલાકાતીઓને સવારે 8 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવાની અપીલ કરી છે, જેથી તેઓને ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આજે 25 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ કરવામાં આવશે અને આ દરમિયાન ભારે વાહનો અને માલસામાનની અવરજવર બંધ કરવામાં આવશે.
26 જાન્યુઆરીની પરેડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પણ એડવાઈઝરી જારી કરી છે.
આ મુજબ, ગુરુવારથી પરેડ સમાપ્ત થાય તે દિવસ સુધી કર્તવ્ય પથથી વિજય ચોક અને ઈન્ડિયા ગેટ સુધી વાહન અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.