IPLમાં અત્યાર સુધીમાં અય્યર માત્ર બે ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સનો જ હિસ્સો રહ્યો છે

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી આઈપીએલની 61મી મેચ શ્રેયસ અય્યરની કારકિર્દીની 100મી મેચ હશે. અય્યર તેની IPL કારકિર્દીમાં માત્ર બે ટીમો માટે રમ્યો છે. કોલકાતા પહેલા તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. અય્યરે પોતાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. જોકે, આ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

ઐયરે તેની ડેબ્યૂ મેચ IPL 2015માં રમી હતી. તે આ સિઝનમાં ઘણો ચમક્યો. અય્યરને આ સિઝન માટે દિલ્હી કેપિટલ્સે રૂ. 2.60 કરોડમાં ખરીદ્યો હતો. આ સિઝનમાં તેણે 14 મેચમાં 439 રન બનાવ્યા હતા. અય્યરે આ સિઝનમાં 4 અડધી સદી ફટકારી હતી. આ પછી, 2016 માં તે ફક્ત 6 મેચ રમી શક્યો અને આમાં તેણે ફક્ત 30 રન બનાવ્યા. અય્યર 2015 થી 2021 સુધી દિલ્હી કેપિટલનો હિસ્સો રહ્યો. કોલકાતાના કેપ્ટન માટે IPL 2020 ખૂબ જ સારું રહ્યું. તેણે આ સિઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અય્યરે 17 મેચમાં 519 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 88 રન હતો. અગાઉ, તે 2019 અને 2018માં પણ સારું રમ્યો હતો. અય્યરે 2018માં 14 મેચમાં 411 રન બનાવ્યા હતા. જ્યારે 2019માં 16 મેચ રમીને 463 રન બનાવ્યા હતા.

KKR એ શ્રેયસને IPL 2022 માટે ખરીદ્યો હતો. KKRએ તેને 12.25 કરોડમાં ખરીદ્યો હતો. આ સિઝનમાં તેણે અત્યાર સુધી રમાયેલી 12 મેચમાં 336 રન બનાવ્યા છે. આ દરમિયાન અય્યરે 2 અડધી સદી ફટકારી છે. જોકે આ સિઝન તેની ટીમ માટે સારી રહી ન હતી.