સાઉદી અરેબિયાએ પોતાનાા નિવેદનમાં દરેકને “શ્રદ્ધા અને ધર્મોનું સન્માન” કરવા હાકલ કરી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઈરાન અને કુવૈત પછી, સાઉદી અરેબિયાએ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાની મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીની ટીકા કરી અને દરેકને “શ્રદ્ધા અને ધર્મોનું સન્માન” કરવા હાકલ કરી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ભાજપના પ્રવક્તાની ટીપ્પણીની નિંદા કરતા કહ્યું કે તેઓએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે.

દરમિયાન, નવી દિલ્હીમાં, બીજેપીએ રવિવારે તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને મોહમ્મદ પયગંબર પર વિવાદિત નિવેદનો બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તે જ સમયે, પાર્ટી નેતૃત્વએ દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને ભાજપમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે “ઇસ્લામ ધર્મના પ્રતીકો સામે પૂર્વગ્રહોની અસ્વીકાર”નો પુનરોચ્ચાર કર્યો. તેમણે “તમામ આદરણીય લોકો અને પ્રતીકો” વિરુદ્ધ પૂર્વગ્રહને પ્રોત્સાહન આપતી કોઈપણ વસ્તુને નકારી કાઢી.

ભારતીય રાજદૂતોને બોલાવ્યા

તેમના પ્રવક્તાને સસ્પેન્ડ કરવાના બીજેપીના પગલાને આવકારતા, મંત્રાલયે “શ્રદ્ધાઓ અને ધર્મોના સન્માન માટે સાઉદી અરેબિયાના વલણ” નો પુનરોચ્ચાર કર્યો હતો. આ પહેલા કતાર, ઈરાન અને કુવૈતે પયગંબર મોહમ્મદ વિશે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા. ગલ્ફ ક્ષેત્રના મહત્વના દેશોએ આ ટિપ્પણીઓની નિંદા કરી અને સખત વાંધો ઉઠાવ્યો હતો.

ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરશો નહીં
કતાર અને કુવૈતમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “રાજદૂતે જાણ કરી હતી કે તે ટ્વીટ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ સંકુચિત તત્ત્વોના મંતવ્યો છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે આરબ દેશોમાં ટ્વિટર પર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.