ભારતીય નાગરિકતા (સુધારો) કાયદો પાંચ વર્ષ પહેલા સંસદમાં પસાર કરવામાં આવ્યો છે.
જો કે દેશભરમાં થયેલા વિરોધના કારણે આજદિન સુધી તેનો અમલ થયો નથી.
પરંતુ હવે આ કાયદો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.
કારણ કે માટુઆ સમુદાયના
બંગાળના બીજેપી સાંસદ શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે સાત દિવસમાં સમગ્ર દેશમાં CAA લાગુ કરવામાં આવશે.

આ પહેલા 27 ડિસેમ્બરે બંગાળની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાર પૂર્વક કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકશે નહીં.

આ કાયદો એટલે કે નાગરિકતા સંશોધન કાયદો શું છે અને ચૂંટણી પહેલા જ તેના અમલીકરણની જાહેરાત શા માટે કરવામાં આવી હતી, કયા રાજ્યોમાં તેની અસર થશે, મુસ્લિમો માટે તે એક મહત્વપૂર્ણ મુદ્દો કેમ છે અને વિપક્ષ તેના પર શું કહે છે?તે અંગે જાણીએ.

આવો જાણીએ કે નાગરિકતા કાયદો CAA શું છે?

નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ આ કાયદામાં તા.31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધર્મો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો હેતુ છે,ત્રણ દેશોમાંથી આવતા વિસ્થાપિત લોકોને નાગરિકતા મેળવવા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
કાયદા હેઠળ આ જાતિના છ લઘુમતીઓને નાગરિકતા મળતા જ તેમને મૂળભૂત અધિકારો પણ મળી જશે.

મતલબ કે આ કાયદા હેઠળ, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવતા બિન મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 2014 સુધી કોઈને કોઈ અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવીને સ્થાયી થયા હતા.

જો કે, મુસ્લિમોને આ જોગવાઈથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ,ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યુ.
2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી.
આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા.
જો કે, કોરોના રોગચાળાને કારણે બધું ઠંડુ પડી ગયું હતું.

હવે,લોકસભાની ચૂંટણીને લગભગ ત્રણ મહિના બાકી છે,ચૂંટણીની તારીખ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં જાહેર કરવામાં આવશે. પહેલા અમિત શાહ અને હવે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે બંગાળની ચૂંટણી સભાઓમાં સમગ્ર દેશમાં CAA લાગુ કરવાની વાત કરી છે.

CAA લાગુ કરવાનું વચન છેલ્લી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મુખ્ય ચૂંટણી મુદ્દો હતો. ભાજપ માને છે કે CAA તેમના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારી શકે છે અને હિંદુ મતદારોને તેમની પાર્ટી તરફ આકર્ષિત કરી શકે છે.

ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં પહેલેથી જ મોટી હિંદુ વસ્તી છે.
બીજેપી CAAને દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટેના પગલા તરીકે રજૂ કરી રહી છે.

આ રીતે ભાજપ પોતાને મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
જો કે, વિપક્ષનો આરોપ છે કે CAA મુસ્લિમ વિરોધી છે અને ભારતીય બંધારણના સમાનતાના નિયમનું ઉલ્લંઘન કરે છે.

આવી સ્થિતિમાં ભાજપ CAAના વિરોધને મુસ્લિમ તુષ્ટિકરણ તરીકે રજૂ કરી શકે છે, જે તેના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને મજબૂત બનાવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના માતુઆ સમુદાયના હિન્દુ શરણાર્થીઓ લાંબા સમયથી નાગરિકતાની માંગ કરી રહ્યા છે.
અહીં તેમની વસ્તી તદ્દન નોંધપાત્ર છે. આ લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. CAAના અમલ થાયતો તેમના માટે નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ જશે.
2024ની ચૂંટણીમાં ભાજપ માટુઆ સમુદાયને આકર્ષીને પોતાના રાજકીય મૂળને મજબૂત કરવા માંગે છે.

2019ની લોકસભા ચૂંટણી અને 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર માતુઆ સમુદાય પર પકડ જાળવીને જ મોટી સફળતા મેળવી હતી.

2014ની ચૂંટણીમાં ભાજપ પાસે બંગાળમાં માત્ર બે લોકસભા બેઠકો હતી.
2019ની ચૂંટણીમાં તે વધીને 18 બેઠકો પર પહોંચી અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી જેમાં માતુઆ સમુદાયે મહત્વની ભૂમિકા ભજવી હતી.

હવે, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા, બીજેપીએ ફરી એકવાર CAA માટે પગલું ભર્યું છે.

આ દાવ બંગાળમાં ભાજપ માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે.
એ પણ નોંધનીય છે કે લોકસભા સીટોના ​​સંદર્ભમાં, યુપી (80) અને મહારાષ્ટ્ર (48) પછી બંગાળ (42) સાથે દેશનું ત્રીજું સૌથી મોટું રાજ્ય છે
.

નાગરિકતા સુધારો કાયદો સમગ્ર ભારતમાં લાગુ થશે તો તેની અસર તે રાજ્યોમાં વધુ જોવા મળશે જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો છે.
આમાંથી મોટાભાગના ઉત્તર-પૂર્વીય રાજ્યોના છે જેમ કે- પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા.

ઉત્તર-પૂર્વને લઘુમતી બંગાળી હિન્દુઓનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા દાયકાઓમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં થતા અત્યાચારોથી પરેશાન થઈને મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવી રહયા છે.

ઉત્તર-પૂર્વીય રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ઉપર હોય મોટાભાગના લોકો સરહદ પાર કરી આ રાજ્યોમાં સ્થાયી થયા છે.

એક રિપોર્ટ અનુસાર આસામમાં 20 લાખથી વધુ હિન્દુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે.
અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે.
આ રાજ્યોમાં રહેતા મૂળ લોકોને ડર છે કે CAAના અમલીકરણથી તેઓનું વર્ચસ્વ વધશે.

નાગરિતા મળ્યા બાદ તેમને સરકારી નોકરીમાં પણ અધિકાર મળશે.
ધીમે ધીમે અન્ય દેશોમાંથી આવતા લોકો તેમના સંસાધનોને કબજે કરશે.

બીજી તરફ CAA કાયદાને લઈ મુસ્લિમો માટે ચિંતાનો વિષય છે કારણ કે તેમને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે,પરિણામે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે નહીં.
આ કારણોસર મુસ્લિમો સાથે ભેદભાવના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
તેના પર ધર્મના આધારે ભેદભાવ અને બંધારણમાં સમાવિષ્ટ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

જો કે, ગૃહ પ્રધાન અમિત શાહ મુસ્લિમ સમુદાયને ખાતરી આપી રહ્યા છે કે CAA કાયદા હેઠળ ભારતમાં રહેતા કોઈપણ મુસ્લિમની નાગરિકતા છીનવી લેશે નહીં તેમ છતાં, મુસ્લિમોના એક મોટા વર્ગને ડર છે કે CAA પછી કેન્દ્ર સરકાર નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાવશે અને પછી તેઓને દેશની બહાર કાઢી મુકશે.

જોકે, આવી સ્થિતિમાં CAAમાં છ બિન-મુસ્લિમ સમુદાયોના લઘુમતીઓનો સમાવેશ થાય છે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવ્યા હોય તો ભારતીય નાગરિકતા મેળવશે.
જ્યારે NRC ને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
CAA નાગરિકતા આપે છે, જ્યારે NRC ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢે છે.

NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર છે, તેનો હેતુ ભારતમાંથી ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવાનો અને બહાર કાઢવાનો છે, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. હાલમાં, NRC માત્ર આસામમાં જ લાગુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાલમાં જ આસામમાં NRC પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં NRC લાગુ કરવાનો છે.
આમ,ચૂંટણીઓ ટાણે ફરી એકવાર બંગાળના બીજેપી સાંસદ શાંતનુ ઠાકુરે સાત દિવસમાં સમગ્ર દેશમાં CAA લાગુ કરવાની વાત કરતા રાજકારણ ગરમાયુ છે.