નમસ્કાર ગુજરાત ન્યૂઝ
સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકોએ ઘણીવાર સોગંધનામાનો ઉપયોગ કરવો પડતો હોય છે અને તેવા લોકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનને તાજેતરમાં 200 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને મળતી સરકારી સેવાઓ માટે વધુ એક નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજન્દ્ર ત્રિવેદીએ એલાન કર્યું છે કે ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી.

આગામી 15 દિવસમાં જ આ મુદ્દે કાર્યવાહી કરાશે
રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી, યોજનાને લગતી કોઈપણ કામગીરી સેલ્ફ ડેક્લેરેશનથી થઈ શકે છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા. આગામી 15 દિવસમાં જ આ બાબતે કાર્યવાહી કરવા માટેની રાજ્યભરના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ સુવિધા નાગરિકો માટે ગણતરીના દિવસમાં જ અમલી બની જશે. ઉલ્લેખનીય છે કે, પહેલા કોઈપણ સરકારી યોજનાની કામગીરી માટે સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે સરકારના આ પ્રકારના નિર્ણય બાદ ચૂકવવાના રહેશે નહીં.