અમેરિકાના સેન્ટ લુઈસ ખાતે આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી સુશીલ ખૂબ જ દુઃખી છે,કારણ કે તેના સાથી વિદ્યાર્થી અમરનાથ ઘોષની ફેબ્રુઆરીમાં હત્યા થઈ ગઈ હતી.

34 વર્ષીય અમરનાથ ક્લાસિકલ ડાન્સર હતા,સુશીલ હજુ પણ પોતાના મિત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યો નથી.
સ્થાનિક પોલીસે હત્યાનો મામલો ગણીને તપાસ હાથ ધરી છે.

સુશીલનું કહેવું છે કે તેને અમરનાથના મૃત્યુની માહિતી યુનિવર્સિટીના બદલે ભારતમાં રહેતા મિત્ર પાસેથી મળી હતી.
અહીં અમને બે દિવસ પછી જણાવવામાં આવ્યું.
અહીંના વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રતિક્રિયાથી ખુશ નથી, તેમને લાગે છે કે ભારતીયોને કેવું લાગશે તેની કોઈને પરવા નથી.”

ઘોષને કેમ્પસની બહાર રોડ પર કોઈએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.

યુનિવર્સિટીએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે પોલીસ મૃતકની ઓળખની પુષ્ટિ કરે પછી જ તેઓ વિદ્યાર્થીના મૃત્યુ વિશે માહિતી આપી શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં સમય લાગે છે,ઉપરાંત વિદ્યાર્થીના પરિવારજનોની પણ સંમતિ લેવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સના વાઇસ ચાન્સેલર જુલી ફ્લોરીએ આ ઘટનાને ‘દુર્ઘટના’ ગણાવી છે.

તેણી કહે છે, “અમરનાથની નજીકના લોકોની ઈચ્છાઓ જાણીને અમે અમારા સમુદાય સાથે બને તેટલી વહેલી તકે સમાચાર શેર કર્યા.”

સેન્ટ લુઇસ પોલીસ વિભાગ કહે છે કે “મૃતકની ઓળખની પુષ્ટિ કરવામાં 48 કલાક જેટલો સમય લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં, વધુ સમય લાગે છે.”

આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં 11 ભારતીયો અથવા ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે, અમરનાથ ઘોષ તેમાંથી એક છે. આવી સ્થિતિમાં અહીં રહેતા ભારતીય સમુદાયમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ સિવાય ભારતીય વિદ્યાર્થી 19 વર્ષીય નીલ આચાર્ય અમેરિકન યુનિવર્સિટીના કેમ્પસમાં મૃત હાલતમાં મળી આવવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
આ લોકોના મોતના કારણો અલગ-અલગ જણાવવામાં આવી રહ્યા છે. કેટલાક હાયપોથર્મિયાને કારણે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે આ મૃત્યુ વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધ નથી.

દરેક મૃત્યુ પછી કેમ્પસમાં હંગામો થાય છે. વિદ્યાર્થીઓ ભય વચ્ચે તેમની દિનચર્યા અને અભ્યાસ ચાલુ રાખી રહ્યા છે.

સુશીલ કહે છે, “અમે અંધારા પછી બહાર જવાનું ટાળીએ છીએ જે અસુરક્ષિત છે.”
સુશીલની જેમ બીજા પણ ઘણા લોકો છે જેઓ ફરિયાદ કરે છે કે તેઓને યુનિવર્સિટીમાંથી મૃત્યુ વિશે સમયસર માહિતી મળતી નથી પરંતુ ભારતીય મીડિયા અને સંબંધીઓ પાસેથી આ વિશે જાણવા મળે છે.

એપ્રિલમાં પણ અન્ય વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું

ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર 25 વર્ષીય મોહમ્મદ અબ્દુલ અરાફાત માર્ચથી ગુમ હતો જે
આ મહિને તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
નામ ન આપવાની શરતે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે અને અરાફાતે એકસાથે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેને અરાફાતના મૃત્યુની ખબર તેના માતા-પિતાના વોટ્સએપ મેસેજ દ્વારા મળી હતી.
તેણે કહ્યું આ ઘટના બાદ મારા માતા-પિતાએ મને સાવચેત રહેવા જણાવ્યું હતું

વર્ષ 2022-23માં લગભગ 267,000 ભારતીયોએ અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો હતો. વર્ષ 2030 સુધીમાં આ આંકડો 10 લાખ સુધી પહોંચવાની આશા છે.

ન્યુયોર્કમાં રહેતી એજ્યુકેશન
એક્સપર્ટ રાજિકા ભંડારી કહે છે, “ભારતમાં અમેરિકન ડિગ્રીનો ખૂબ ક્રેઝ છે, ભારતીય પરિવારો તે માટે આકર્ષાય છે.”

જોકે,ન્યુ જર્સીની ડ્ર્યુ યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર, સંગે મિશ્રાનું કહેવુ છે કે આ પ્રકારના મૃત્યુમાં કોઈ “સ્પષ્ટ પેટર્ન” નથી અને કોઈએ એવુ માની ન લેવું જોઈએ કે આવું થઈ રહ્યું છે તેની પાછળનું કારણ તેઓ ભારતીય છે.
તે કહે છે, “મને એવું કંઈ ચોક્કસ કારણ જોવા મળ્યું નથી જેનાથી સાબિત કરી શકાય કે આવું વંશીય દુશ્મનાવટને કારણે અથવા આ જાતિના આધારે હુમલા થઈ રહયા હોય”

અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ તેમના બાળકો સાથે નિયમિત સંપર્ક જાળવતા હોય છે.

મીનુ અવલ, જેનો પુત્ર યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં અભ્યાસ કરે છે, કહે છે, “જ્યારે આપણે ભારતમાં બેસીને આવા સમાચાર સાંભળીએ છીએ, ત્યારે અમને ડર લાગે છે.”

અવલ કહે છે કે તેણે તેના પુત્રને કહ્યું છે કે જો લૂંટારુઓનો ભેટો થઈ જાયતો તેનો સામનો નહિ કરવાનો પણ જે હોય તે આપી દેવાનું અને જાન બચાવી લેવાનો.
જયપુરની રહેવાસી નીતુ મરદાની પુત્રી ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. નીતુ દરરોજ તેની પુત્રી સાથે વાત કરે છે અને તેના મિત્રોના નંબર પણ તેની પાસે રાખે છે.
તેણી કહે છે, “મેં તેને સૂચના આપી છે કે અજાણ્યાઓ સાથે એકલા બહાર ન જાય.”

અલગ-અલગ કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ પણ પોતાની રીતે સલામતીના નિયમોનું પાલન કરે છે.

અનુષ્કા મદન અને ઈશિકા ગુપ્તા મેસેચ્યુસેટ્સમાં ટફ્ટ્સ યુનિવર્સિટી ખાતે એસોસિએશન ઓફ સાઉથ એશિયન્સના સહ-પ્રમુખ છે.

બંનેનું કહેવું છે કે સુરક્ષાને લગતા કેટલાક નિયમો બનાવાયા છે, જેમ કે કેમ્પસમાં રાત્રે એકલા ન ફરવું.

ઇશિકા ગુપ્તા કહે છે, “સામાન્ય રીતે બોસ્ટન ખૂબ જ સલામત છે, પરંતુ હવે અમે થોડા વધુ સાવચેત છીએ અને અમારી આસપાસના વાતાવરણ પર નજર રાખીએ છીએ.”
ભૌતિક સુરક્ષાની સાથે સાથે, યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણથી પણ વાકેફ છે.

શિક્ષણ નિષ્ણાત ભંડારી કહે છે, “તે સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ શૈક્ષણિક દબાણ સાથે ભારે નાણાકીય દબાણને કારણે છે, જેથી તેમની વિઝા સ્થિતિ પર કોઈ નકારાત્મક અસર ન થાય.

તેણી આગળ કહે છે, “જ્યારે આ વિદ્યાર્થીઓ તેમના ઘરોથી હજારો માઇલ દૂર રહે છે, ત્યારે તે એક મોટું માનસિક દબાણ છે.”

CSU ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ રીના અરોરા-સાંચેઝ કહે છે, “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યારે તેમની સપોર્ટ સિસ્ટમ છોડીને નવી સંસ્કૃતિમાં જાય છે ત્યારે તેઓ ઘણા તણાવમાંથી પસાર થાય છે.”

ભારતીય વિદ્યાર્થીઓને કેવા પ્રકારની મદદ મળે છે?

યુ.એસ.માં ભારતીય દૂતાવાસ એમ્બેસીનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે.
આ ઉપરાંત સમયાંતરે ઓનલાઈન અને વ્યક્તિગત સત્રો પણ યોજવામાં આવે છે.

પ્રથમ મહેતા જ્યોર્જિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે ઈન્ડિયા ક્લબના પ્રમુખ છે.

પ્રથમ કહે છે કે તેઓ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે.
કેમ્પસમાં ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
આ ક્લબ એવા વિદ્યાર્થીઓને પણ મદદ કરે છે જેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે છે.

તેઓ કહે છે, “CSU એક એપ સેવા પૂરી પાડે છે જેના દ્વારા વિદ્યાર્થીઓ પોલીસ વિભાગનો સંપર્ક કરી શકે છે, જેના દ્વારા તેઓ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં મફત સલામતી એસ્કોર્ટ સેવા પણ પૂરી પાડે છે.”
ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, “અમે ભારતીયોને એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમેરિકા અભ્યાસ અને રહેવા માટે એક સુરક્ષિત અને શ્રેષ્ઠ સ્થળ છે.”

પરંતુ તાજેતરના મૃત્યુએ આ મુદ્દા પર ધ્યાન દોર્યું છે.

શિક્ષણ નિષ્ણાત ભંડારી કહે છે, “અમેરિકન યુનિવર્સિટીઓ જાણે છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ભારે ક્રેઝ છે, જે વધી રહયો છે.”પરંતુ તે પણ સ્પષ્ટ છે કે સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ પણ છે,”

અનિશ્ચિતતાઓ હોવા છતાં, અમેરિકા વિદ્યાર્થીઓ માટે પ્રિય સ્થળ છે.

જયપુરની રહેવાસી સ્વરાજ જૈન આ વર્ષે ઓગસ્ટમાં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં જવાની છે.
તે ખૂબ જ ઉત્સાહિત છે અને પડકારોથી પણ વાકેફ છે.

તે કહે છે કે “દરેક વ્યક્તિ હિંસા અને અપરાધ વિશે વાત કરે છે, મારે સાવચેત રહેવું પડશે,”
આમ,જોખમો વચ્ચે ત્યાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધી રહયો છે ત્યારે તમારે તમારી સુરક્ષા જાતે કરવાની તૈયારી રાખવી પડશે તે નક્કી છે.