સ્કૂલો ખુલવાના કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ચમક આવી છેઃ પીએમ મોદી

શિક્ષક પર્વનુ ઉદઘાટન કરતા પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગથી કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે ,જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર છે તેમના ચહેરા પર અલગ ચમક દેખાઈ રહી છે. આ ચમક સ્કૂલો ખુલવાના કારણે લાગે છે. લાંબા સમય બાદ સ્કૂલે જવાનુ, ક્લાસમાં ભણવાનો આનંદ અલગ હોય છે. ઉત્સાહની સાથે સાથે કોરોનાના નિયમોનુ પાલન પણ કરવાનુ છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોરોનાકાળમાં ઉભા થયેલા પડકારોનો ભારતની શિક્ષણ વ્યવસ્થાએ સફળતાપૂર્વક સામનો કર્યો છે. ઓનલાઈન ક્લાસીસ, વિડિયો કોલ, ઓનલાઈન પ્રોજેક્ટ જેવા શબ્દો પહેલા લોકોએ સાંભળ્યા નહોતા. જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેને જીવનનો એક હિસ્સો બનાવી લીધો હતો. મુશ્કેલ સમયમાં આપણે જે પણ શીખ્યા છે તેને હવે નવી દિશા આપવાની છે.
તેમણે કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિથી શિક્ષણ ક્ષેત્રમાં બદલાવ આવશે. આ નીતિ લાગુ કરવા માટે શિક્ષણ જગતના નિષ્ણાતો અને શિક્ષકોનુ મોટુ યોગદાન રહ્યુ છે. આ નીતિમાં સમાજને પણ જોડવાનો છે. જ્યારે સમાજ જોડાય છે ત્યારે સારૂ પરિણામ મળતુ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જનભાગીદારીથી ભારતમાં એવા કમ થયા છે જેની કલ્પના થઈ શકે તેમ નથી.