ગાંધી પરિવારની પહેલી પસંદ મલ્લિકાર્જુન ખડગે હોવાનું મનાય છે, ખડગેની એન્ટ્રી થતા દિગ્વિજયસિંહે અધ્યક્ષપદની ચૂંટણીમાં જંપલાવવાનું મન વાળી લીધું

વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે ખડગેનું નામ અચાનક કેવી રીતે સામે આવ્યું? સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શરૂઆતથી જ અધ્યક્ષ પદ માટે કોંગ્રેસ નેતૃત્વની પ્રથમ પસંદગી ન હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી મલ્લિકાર્જુન ખડગે હતા અને સોનિયા ગાંધીની પ્રથમ પસંદગી સુશીલ કુમાર શિંદે હતા. જો કે આ પછી કોંગ્રેસ હાઈકમાન્ડ રાજસ્થાનમાં પરિવર્તનનું બોર્ડ લગાવવા ઈચ્છે છે. આ માટે પાર્ટીમાં આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના સર્વેમાં શું થયું?
આ સર્વેમાં 60 ટકા લોકોનો અભિપ્રાય અશોક ગેહલોતની તરફેણમાં હોવા છતાં ગેહલોતને દિલ્હી લાવવા અને રાજ્યની કમાન સચિન પાયલટને સોંપવાના હેતુથી અશોક ગેહલોતને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી જ સોનિયા ગાંધીએ ગેહલોત સાથે વાત કરી અને તેમને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મનાવી લીધા. જો કે, પહેલેથી જ ગેહલોતે નેતૃત્વને સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ અધ્યક્ષ તરીકે દિલ્હી આવે છે, તો રાજ્યની કમાન પાયલટને બદલે સીપી જોશીને સોંપવામાં આવે.

કોંગ્રેસ હાઈકમાન્ડ કદાચ આ વખતે ગેહલોતની આ શરત સ્વીકારવા માગતું ન હતું. તેથી જ સોનિયા ગાંધીએ નિરીક્ષકોને જયપુર મોકલ્યા અને પછી તે રાત્રે જયપુરમાં કેવી રીતે બળવો થયો તે બધા જાણે છે.

શું છે ગાંધી પરિવારનો ઈરાદો?
આ પછી જ ગાંધી પરિવારે પોતાનો વિચાર બદલવાનું મન બનાવ્યું હતું. ગેહલોતને બદલે અન્ય કોઈને પ્રમુખ પદ માટે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. સોનિયા ગાંધીએ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલને દિલ્હી બોલાવ્યા હતા. આ સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ બંને સાથે અનેક રાઉન્ડની લાંબી ચર્ચા કરી હતી અને તે પછી ખડગેની તરફેણમાં નિર્ણય લેતા ગેહલોતને ચૂંટણી ન લડવા માટે કહેવામાં આવ્યું હતું.

જાણકાર સૂત્રો કહે છે કે ગાંધી પરિવાર આ વખતે ભલે કહેતો હોય કે તેઓ કોઈને સાથ નહીં આપે, પણ પડદા પાછળ ગાંધી પરિવાર ઈચ્છે છે કે પ્રમુખ એવા વિશ્વાસપાત્ર બને કે પક્ષ પર ગાંધી પરિવારની પકડ નબળી ન થાય. આ જ કારણ છે કે રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી અને પાર્ટીના વરિષ્ઠ દલિત ચહેરા મલ્લિકાર્જુન ખડગેની તરફેણમાં છેલ્લો નિર્ણય લેવામાં આવ્યો અને દિગ્વિજય સિંહ જેવા મોટા નેતાઓએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા.