કેનેડામાં ટ્રુડો સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે અને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહી છે કારણકે અહીં રહેતા વિદેશી અને સ્થાનિક નાગરિકો એમ બંને તરફથી સરકારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારની ઢીલી નીતિને કારણે નોકરીઓથી માંડીને દરેક વસ્તુ પર વિદેશીઓ કબજો કરી રહ્યા છે અને સ્થાનિક નાગરિકો કેનેડાના જ હોવાછતાં તેઓ નોકરીથી માંડી દરેક જગ્યાએ બેરોજગાર જેવી સ્થિતિમાં આવી ગયા છે તેઓનો આક્રોશ છે કે કેનેડામાં બહારના લોકોએ કબ્જો કરી લીધો છે.

જ્યારે બીજી તરફ વિદેશી નાગરિકો નિયમોમાં ફેરફાર કરવા બદલ કેનેડિયન સરકારથી નારાજ છે અને તેમાંય સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થઈ છે પરિણામે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ થયું છે. 

કેનેડામાં સ્થાનિક લોકો દ્વારા વિદેશીઓના ભારે વિરોધને કારણે કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ્સ (PEI) પ્રાંતે તેની ઇમિગ્રેશન પરમિટમાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે અને નિયમોમાં કેટલાક ફેરફારો કરતા તેની સૌથી વધુ ખરાબ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી છે અને અનેક ભારતીય વિદ્યાર્થીઓ દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.

કેનેડાના સૌથી નાના પ્રાંત PEI ના લોકોએ કહ્યું કે તેઓ વધુ ઇમિગ્રન્ટ્સ ઇચ્છતા નથી.

મીડિયા રિપોર્ટ મુજબ, પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ્સમાં આવાસ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને નોકરીઓ મુખ્ય મુદ્દાઓ છે, જેના કારણે પ્રાંતે ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો છે અને સંખ્યામાં 25 ટકાનો ઘટાડો કર્યો છે. 

સ્થાનિક લોકોને લાગે છે કે ઇમિગ્રન્ટ્સ તેમની તકો છીનવી રહ્યાં છે.
આ વિરોધ વિદ્યાર્થી વિઝા પર આવેલા વિદેશી યુવાનો સામે વધુ છે તેમનું કહેવું છે કે કેનેડામાં કાયમી નિવાસ અને નાગરિકતા માટે સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે વિદેશીઓએ અમને બહાર ફેંકી દીધા છે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં જે થઈ રહ્યું છે તે હવે અન્ય પ્રાંતોમાં પણ જોવા મળી રહ્યું છે.

એવું કહેવાય છે કે 2006 થી પ્રિન્સ એડવર્ડ ટાપુઓ પર વસાહતીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. PEI ના લોકોને લાગે છે કે તેમની નોકરી વિદેશીઓ પાસે જઈ રહી છે. 

PEI ના એક વ્યક્તિએ કહ્યું, ‘અમારે અહીંની સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે, ટાપુઓ પરની તમામ નોકરીઓ એવા લોકો પાસે છે જેઓ અહીંના નથી.’
વસાહતીઓ સામેની નારાજગી વસ્તી વધારા અને રહેઠાણની સુવિધાના અભાવને કારણે પણ છે.

વિદેશીઓના આગમન સાથે, ટાપુઓ પર ઘરના ભાડામાં વધારો થયો છે. સ્થાનિક લોકો ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારાનું કારણ નિયમોમાં છૂટછાટ આપી રહ્યા છે.

તેઓ માને છે કે લવચીક નિયમોને કારણે આ ટાપુઓ પર વસાહતીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે આરોગ્ય સેવાઓને પણ અસર થઈ છે.