• ગ્રેનેડ હુમલો કરી સંગઠનમાં સામેલ થતાં યુવકો માટે પાછુ ફરવુ પણ મુશ્કેલ બને છે
  • આતંકી સંગઠનો યુવકોને સંગઠનમાં જોડાતા પહેલા પોતાની વફાદારી સાબિત કરવાનું કહી રહ્યા છે
  • વિતેલા સમયમાં આતંકી સંગઠનો મોટા પ્રમાણમાં હેન્ડ ગ્રેનેડ અને હથિયારો સપ્લાય કરી રહ્યા છે

કાશ્મીરમાં આતંક ફેલાવી રહેલા આતંકી સંગઠનો ત્યાંના યુવાનોની ઘર વાપસી પર મુશ્કેલ બનાવી રહ્યા છે. આ આતંકી સંગઠનો કાશ્મીરી યુવકોને પહેલા પથ્થરમારો કરાવી સંગઠનમાં સામેલ કરતા હતા, પરંતુ હવે તેમને હેન્ડ ગ્રેનેડ ફેંકવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે કાશ્મીરી યુવાનાને કહેવામાં આવી રહ્યું છે કે, સંગઠનમાં સામેલ થતાં પહેલા તેમણે પોતાને સાબિત કરવા પડશે

ઇન્ટેલિજેન્સ એજન્સીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI અને આતંકી સંગઠનો કાશ્મીરી યુવાનોને સંગઠનમાં સામેલ કરવા માટે નવી રણનીતિ અપનાવી રહ્યા છે. કાશ્મીરી યુવકાનો હવે પથ્થર ફેંકવાને બદલે ગ્રેનેડ ફેંકવા માટે ઉકસાવવામાં આવી રહ્યા છે. સંગઠન સાથે જોડાવા માટે યુવાનોની પરીક્ષા પણ છે. આતંકી સંગઠનો હવે ઇચ્છી રહ્યા છે કે સંગઠનમાં સામેલ થતાં પહેલા કાશ્મીરી યુવકો કોઇને કોઇ હુમલાને અંજામ આપે.

રિપોર્ટ મુજબ આતંકી સંગઠનો એ વાતથી ઉચાટમાં છે કે યુવકો આતંકી પ્રવૃત્તિઓ છોડીને સામાન્ય જીવનમાં પાછા ફરી રહ્યા છે. વિતેલા સમયમાં અનેક યુવકો આતંકી પ્રવૃત્તિઓ છોડીને પરત ફરી ચૂક્યા છે. જેનો શ્રેય ભારતીય સેનાના પ્રયત્નોને જાય છે. ભારતીય સેના આ વિસ્તારમાં સતત પ્રયત્નશીલ છે કે, યુવકો આતંકી પ્રવૃત્તિઓ છોડી પરત ફરે અને આ અભિયાનમાં સફળતા પણ મેળવી છે.

એક અધિકારી મુજબ આતંકી સંગઠન યુવકોને ગ્રેનેડ હુમલો કરવાનું કહી રહ્યા છે કારણ કે એકવાર સંગઠનમાં આવી ગયા પછી એમનું પાછુ ફરવુ મુશ્કેલ બની જાય. આતંકી સંગઠનો આ માટે કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ગ્રેનેડ અને અન્ય હથિયારો સપ્લાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.