ભારત અને પાકિસ્તાને સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં તેમના રાજદ્વારીઓ દ્વારા તેમના પરમાણુ સ્થળોની સૂચિની આપલે કરી હતી. સૂચિની આપ-લે દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવી હતી જે બંને પક્ષોને એકબીજાના પરમાણુ સ્થળો પર હુમલો કરવા પર પ્રતિબંધ મૂકે છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે તેમના પરમાણુ મથકો વિશેની માહિતી શેર કરી છે જે પહેલીવાર નથી બન્યું, બંને દેશોમાં એક સમજૂતી હેઠળ છેલ્લા 32 વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.


મહત્વનું છે હાલમાં બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દા તેમજ સરહદ પારના આતંકવાદને લઈને વણસેલા સંબંધો વચ્ચે આ પ્રકારનું પગલું સામે આવ્યું છે.
નોંધનીય છે કે ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સામે રાજદ્વારી આક્રમણ ચાલુ રાખી રહ્યું છે અને જ્યાં સુધી તે સરહદ પારના આતંકવાદને રોકે નહીં ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત નહીં કરવાની પોતાની સ્થિતિ પર અડગ છે.
31 ડિસેમ્બર 1988ના રોજ પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા પરમાણુ લક્ષ્યો અને સુવિધાઓ સામેના હુમલાના પ્રતિબંધ પરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, આ સંધિ 27 જાન્યુઆરી 1991ના રોજ અમલમાં આવી હતી અને તેની ઉર્દૂ અને હિન્દીમાં બે-બે નકલો છે. 1986માં, ભારતીય સેનાએ મોટા પાયે ‘બ્રાસસ્ટેક્સ’ કવાયત હાથ ધરી હતી, જેનાથી પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ખતરો વધી ગયો હતો. ત્યારથી બંને દેશો પરમાણુ શસ્ત્ર નિયંત્રણ માટે સર્વસંમતિ સાધવા માટે વાતચીત કરી રહ્યા હતા.

વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીનું આ સતત 33મું આદાનપ્રદાન છે.
1 જાન્યુઆરી, 1992ના રોજ પ્રથમ વખત યાદીની આપ-લે કરવામાં આવી હતી.
કરારમાં બંને દેશોને કરાર હેઠળ આવરી લેવામાં આવતા કોઈપણ પરમાણુ થાણા અને સુવિધાઓ વિશે દર વર્ષની 1લી જાન્યુઆરીએ એકબીજાને જાણ કરવી ફરજિયાત છે.
કરાર મુજબ, ‘પરમાણુ સ્થાપન અથવા સુવિધા’ શબ્દમાં પરમાણુ શક્તિ અને સંશોધન રિએક્ટર, ઇંધણ ઉત્પાદન, યુરેનિયમસંવર્ધન, આઇસોટોપ વિભાજન અને પરમાણુ બળતણ અને સામગ્રી સાથે અન્ય કોઈપણ ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે.