• ભારત અને મલેશિયા હવે રૂપિયામાં પણ વેપાર કરશે
  • સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા
  • મલેશિયા ભારત માટે 13મો સૌથી મોટો વેપારી ભાગીદાર
ભારત સાથે વેપાર રૂપિયામાં કરવા 35 દેશોએ રસ દાખવ્યો

ભારત અને મલેશિયા હવે અન્ય કરન્સી સાથે ભારતીય રૂપિયામાં વેપાર કરી શકશે. વિદેશ મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે જુલાઈમાં ભારતીય ચલણમાં વિદેશી વેપારને મંજૂરી આપી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “ભારત અને મલેશિયા વચ્ચેનો વેપાર હવે અન્ય કરન્સીની સાથે ભારતીય રૂપિયામાં પણ થઈ શકે છે.” મંત્રાલયે જણાવ્યું હતું કે આરબીઆઈની પહેલનો હેતુ વેપાર વૃદ્ધિને સરળ બનાવવા અને ભારતીય રૂપિયાના મૂલ્યમાં વૈશ્વિક વેપાર સમુદાયના હિતોને સમર્થન આપવાનો છે.

રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલ્યા
“કુઆલાલમ્પુર સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ બેંક ઓફ મલેશિયા (IIBM) એ તેના બેંકિંગ સહયોગી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) દ્વારા વિશેષ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલીને ભારતમાં આ સિસ્ટમ દાખલ કરી છે,” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વોસ્ટ્રો એકાઉન્ટનો ઉપયોગ ભારતીય રૂપિયામાં ચુકવણી કરવા માટે થાય છે.

મલેશિયા 13મો સૌથી મોટો વેપારી ભાગીદાર
આર્થિક અને વ્યાપારી સંબંધો દ્વિપક્ષીય ભાગીદારીનો મુખ્ય આધાર છે. દ્વિપક્ષીય આર્થિક અને વાણિજ્યિક સંબંધો મજબૂત થવા સાથે, મલેશિયા ભારત માટે 13મા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે ભારત મલેશિયા માટે દસ સૌથી મોટા વેપારી ભાગીદારો પૈકી એક છે, ત્યારે તે આસિયાનમાં અમારો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર પણ છે. માલસામાન, સેવાઓ અને રોકાણોને આવરી લેતો દ્વિપક્ષીય વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) 1 જુલાઈ 2011થી અમલમાં આવ્યો છે.

મલેશિયામાં ભારતની નિકાસ ખનિજ ઇંધણ
મલેશિયામાં ભારતની નિકાસની મુખ્ય વસ્તુઓ ખનિજ ઇંધણ અને ખનિજ તેલ છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ અને તેમાંથી બનેલી વસ્તુઓ, માંસ, લોખંડ અને સ્ટીલ, તાંબુ અને તેમાંથી બનેલી વસ્તુઓ, ઓર્ગેનિક કેમિકલ, ન્યુક્લિયર રિએક્ટર, બોઈલર, મશીનરી અને યાંત્રિક સાધનો વગેરેની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, મલેશિયાથી ભારતમાં આવતી મુખ્ય વસ્તુઓમાં પામ તેલ, ખનિજ બળતણ, ખનિજ તેલ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો છે.

ક્યા દેશો રૂપિયામાં ભારત સાથે વ્યવહાર કરવા તૈયાર
રૂપિયામાં વેપાર કરવા ઇચ્છુક દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશોનો સમાવેશ થાય છે. આ દેશો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં વેપાર સેટલ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલમાં એક સત્તાવાર દસ્તાવેજને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ચાર દેશોએ રૂપિયામાં વેપાર સેટલમેન્ટ માટે વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં રસ દર્શાવ્યો છે. આ દેશો ભારતમાં આવા ખાતાઓ ચલાવતી બેંકોના સંપર્કમાં છે.

તમને જણાવી દઈએ કે મોરેશિયસ અને શ્રીલંકા જેવા દેશો માટે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ભારત માટે રૂપિયાનો વેપાર કરાર કેટલો ફાયદાકારક છે?
રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારની માન્યતા સાથે, ભારતને ઘણા મોરચે ફાયદો થવાની અપેક્ષા છે. જો તે સફળ થાય છે, તો ક્રૂડ ઓઇલ સહિત આયાત કરવામાં આવતી મોટાભાગની વસ્તુઓની ચૂકવણી માત્ર રૂપિયા દ્વારા કરવામાં આવશે. અત્યારે ભારત આ માટે દર વર્ષે અબજો ડોલર ખર્ચે છે. ઉપરાંત ઘણા વિદેશી વ્યવહારો ડોલરમાં ચૂકવવામાં આવે છે. અત્યારે ભારત ડોલરની જરૂરિયાતને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું વેચાણ કરે છે. પરંતુ તે એટલું સરળ પણ નથી. INR સંપૂર્ણપણે કન્વર્ટિબલ નથી અને તેથી ખરીદદાર શોધવાનું ઘણીવાર મુશ્કેલ હોય છે. બીજી તરફ ભારતીય રૂપિયાની સરખામણીમાં USDની માંગ વધુ છે. તેનો પુરવઠો ફેડ દ્વારા નિયંત્રિત છે.

રૂપિયામાં વેપારમાં વધારો થવાથી, આરબીઆઈને બદલામાં INR માટે ખરીદદાર શોધવાની જરૂર રહેશે નહીં. આ પગલાથી ભારતીય રૂપિયાની માંગમાં વધારો થશે. રૂપાંતર ફી આંતરરાષ્ટ્રીય બેંકોને ન મોકલીને જે રકમ એકઠી થશે તે આખરે દેશના વિકાસ માટે વાપરવામાં આવશે.