મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય, ૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત, ખેડૂત, પાક નુકસાન, ભૂપેન્દ્ર પટેલ, Gujarat Flood, Kharif Crop, Farmers Package, Farmers Help,
પ્રતિકાત્મક તસવીર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.

છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.

રાજ્યમાં અંદાજે ૯.૧ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ૩૩ ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ. ૩૦,૦૦૦ ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટ માંથી રૂ.૧૩૫૦૦ પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટ માંથી વધારાની સહાય તરીકે રૂ.૧૬૫૦૦ પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

કૃષિ મંત્રીશ્એ વધુમાં કહ્યું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો અનુસાર સહાયની ચુકવવાપાત્ર રકમ રૂ. ૪ હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ. ૪ હજારની સહાય ચુકવવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવેલો છે. આવા કિસ્સામાં SDRFમાંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચુકવવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચુકવવામાં આવશે.