પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને હવે ખર્ચ ઘટાડવા માટે ખુદ નેતાઓએ પોતાના ખર્ચ ઘટાડવા માટે પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
જેમાં અત્યાર સુધી સરકારી કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવાતા રેડ કાર્પેટ પર હવેથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન શહેબાઝ શરીફે દેશમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભર્યું છે.

તેઓએ સરકારી કાર્યક્રમોમાં રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે અને તેને ફક્ત રાજદ્વારી સ્વાગત માટેજ ઉપયોગ કરવા સૂચના આપી છે.
શરીફે સરકારી કાર્યક્રમોમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત દરમિયાન રેડ કાર્પેટના ઉપયોગ પર નારાજગી વ્યક્ત કરી છે.

કેબિનેટ ડિવિઝન દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં સત્તાવાર કાર્યક્રમોમાં સંઘીય મંત્રીઓ અને સરકારી વ્યક્તિઓ માટે રેડ કાર્પેટનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
એક રિપોર્ટ અનુસાર તેનો ઉપયોગ માત્ર વિદેશી રાજદ્વારીઓ માટે પ્રોટોકોલ તરીકે જ થઈ શકે છે.
રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો ઉદ્દેશ્ય નાણાં બચાવવા અને જાહેર નાણાં માટે વધુ જવાબદાર અને સમજદાર અભિગમને પ્રોત્સાહન આપવાનો હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, વડા પ્રધાન શરીફ અને કેબિનેટ સભ્યોએ ભંડોળ ઊભું કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે સ્વેચ્છાએ તેમના પગાર અને ભથ્થાં છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
ગયા મહિને વડા પ્રધાને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા નકામા ખર્ચને રોકવાની છે.

આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દેશ સામે ચાલી રહેલા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને પગાર અને ભથ્થા ન લેવાનો નિર્ણય લીધો હતો.