બિહારમાં 12 ફેબ્રુઆરીને સોમવારે નીતિશ કુમાર સરકારની અગ્નિપરીક્ષા થશે.
આ દિવસે સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે.
આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ પહેલા ત્રણ મુખ્ય રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

દરમિયાન, સીપીએમના ધારાસભ્ય મહેબૂબ આલમ પૂર્વ સીએમ જીતન રામ માંઝીના ઘરે તેમની તબિયત પૂછવા પહોંચ્યા તે સમયે બંને નેતાઓ વચ્ચે લગભગ અડધા કલાક સુધી વાતચીત થઈ હતી જેની ઉપર સૌની નજર ટકી હતી.

જો કે, જીતન રામ માંઝીએ આ બેઠક બાદ કહ્યું કે અમે દરેક પરિસ્થિતિમાં NDA સાથે છીએ.

જેડીયુએ તેના ધારાસભ્યોને વ્હીપ જારી કરીને 12 ફેબ્રુઆરીએ વિધાનસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
આ દરમિયાન આરજેડીએ તેના તમામ ધારાસભ્યોને તેજસ્વી યાદવના ઘરે રોકવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા, બેઠક 3 કલાક સુધી ચાલી અને ધારાસભ્યોને પંચ દેશ રત્ન માર્ગ પર તેજસ્વીના નિવાસ સ્થાને રોકી દેવામાં આવ્યા છે.
અગાઉ, JDU ધારાસભ્યોને બિહાર કેબિનેટમાં JDU ક્વોટાના મંત્રી શ્રવણ કુમારના ઘરે ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં સીએમ નીતિશ કુમારે પણ હાજરી આપી હતી પરંતુ ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે તેઓ નારાજ દેખાયા અને 5 મિનિટ પછી ત્યાંથી ચાલ્યા ગયા. અહીં ભાજપે ગયામાં ધારાસભ્ય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. જો કે, આ બેઠકમાં ભાજપના 78માંથી 2 ધારાસભ્યોએ હાજરી આપી ન હતી.

તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર 28 જાન્યુઆરીએ વિપક્ષના મહાગઠબંધન છોડીને NDAમાં જોડાયા હતા.
આ પછી તેમણે તે જ દિવસે ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો કરીને શપથ પણ લીધા હતા.
સીએમ નીતિશ ઉપરાંત 8 વધુ મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
હવે,સોમવારે સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે, તે પહેલાં બિહારમાં રાજકીય માહોલ ગરમાયો છે.