ડ્રોન વીડિયો સામે આવ્યો છે જેમાં ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યું, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી સહિત તમામ પેસેન્જરના મોતની આશંકા

17 કલાક બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી શકી, ઘાટ ધુમ્મસ વચ્ચે પહાડીઓ પર ક્રેશ થયું હેલિકોપ્ટર

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી (Iran President Ebrahim raisi) અને તેમના વિદેશ મંત્રી પર્વતીય પ્રદેશ અને બર્ફીલા હવામાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter Crash) બચી ગયા હોવાની આશાઓ ધૂંધળી થઈ રહી છે, એમ ઈરાનના એક અધિકારીએ સોમવારે શોધ ટીમોએ કાટમાળ શોધી કાઢ્યા બાદ જણાવ્યું હતું. “પ્રમુખ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં સંપૂર્ણ રીતે બળી ગયું હતું… કમનસીબે, તમામ મુસાફરોના મૃત્યુની આશંકા વધુ જણાઇ રહી છે,” તેમ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું.

સોમવારની વહેલી સવારે પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં કાટમાળ સુધી પહોંચવા માટે બચાવ ટુકડીઓએ રાતભર હિમવર્ષા અને મુશ્કેલ પ્રદેશો સામે જઝુમ્યા હતા. પ્રમુખ રઇસી અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકો જીવિત છે કે નહીં તે અંગેની માહિતી રેડ ક્રેસન્ટે આપી નથી. એક ડ્રોન વીડિયો સામે આવ્યો છે જેમાં ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું હતું.

ઈરાનના પ્રેસ ટીવીએ એક્સ પોસ્ટમાં લખ્યું, ‘રેસ્ક્યૂ ટીમે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ કરી લીધી છે. કોઈ જીવિત વ્યક્તિનો કોઈ પત્તો મળ્યો નથી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે પરત ફર્યા હતા, પરંતુ જે હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રઇસી સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી હતા તે પરત આવ્યા ન હતા. આ ત્રીજું હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

તમને જણાવી દઈએ કે ઈરાનના સમય અનુસાર આ દુર્ઘટના રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે) થઈ હતી. દુર્ઘટના બાદથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં 40 ટીમો કાર્યરત હતી. ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાગેરીએ હેલિકોપ્ટરની શોધ માટે સેના, ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) અને કાયદા અમલીકરણ દળોના તમામ સાધનોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તે જ સમયે, તુર્કીએ તેનું નાઇટ વિઝન હેલિકોપ્ટર એક બચાવ ટીમ અને 3 વાહનો સાથે ઈરાન મોકલ્યું હતું.

સર્વોચ્ચ નેતાએ નિવેદન જારી કર્યું
આ દુર્ઘટના બાદ આખું ઈરાન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. સુપ્રીમ લીડર આયાતુલ્લા ખોમેનીએ પણ પોતાનું નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે ભગવાન રાષ્ટ્રપતિ અને તેમના સહયોગીઓને રાષ્ટ્રની બાહોમાં પરત કરશે. દરેક વ્યક્તિએ એ લોકોના ભલા માટે પ્રાર્થના કરવી જોઈએ. ઈરાનના લોકોએ અકસ્માતની ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં ચાલી રહેલા કોઈપણ કામમાં કોઈ અડચણ નહીં આવે.

રાયસી અઝરબૈજાન કેમ ગયા હતા?
વાસ્તવમાં ઈરાન અને અઝરબૈજાન પોતાના સંબંધો સુધારવા માટે અઝરબૈજાનમાં સામૂહિક ડેમ બનાવી રહ્યા છે. આ શ્રેણીનો આ ત્રીજો ડેમ હતો, જેનું ઉદ્ઘાટન કરવા ઈબ્રાહિમ રઇસી અઝરબૈજાન ગયા હતા. તેમને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અકસ્માતનું કારણ શું?
આ દુર્ઘટનાનું સાચું કારણ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયા બાદ જાણી શકાશે. જો કે, ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, શરૂઆતનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઇલ) ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાન પ્રાંતની સરહદ પર, જોલ્ફા નજીક બની હતી. સુંગુન નામની તાંબાની ખાણ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં જોલ્ફા અને વરાઝકાન વચ્ચે આવેલું છે.