ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના 13 ફેબ્રુઆરીના આયોજિત ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે કાર્યક્રમ ટુંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
![](https://b3037968.smushcdn.com/3037968/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-09.30.32_a8e06d94-jpg.webp?lossy=2&strip=1&webp=1)
સમાચાર એજન્સી પીટીઆઈએ આ કાર્યક્રમની તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારીને ટાંકીને કહ્યું કે યુએઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તેથી આ પગલું ભરવું પડ્યું. અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં પીએમ મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમની તૈયારી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હવામાનને કારણે તેમને કાર્યક્રમમાં લોકોની ભાગીદારી 80,000ને બદલે 35,000 કરવાની ફરજ પડી છે.
“અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રવાસી ઈવેન્ટમાંથી એકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી, પરંતુ અચાનક હવામાનના કારણે કાર્યક્રમમાં ફેરફાર કરાયા છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લગભગ 60 હજાર લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઇવેન્ટના દિવસે લોકોને પરિવહન કરવા માટે 500 થી વધુ બસો ફાળવવામાં આવી છે ઉપરાંત 1000 થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે રહેશે.
પીએમ મોદી મંગળવાર આજે 13 ફેબ્રુઆરીથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓ 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ તેઓ સભાને સંબોધિત કરશે.