માલદીવના સંરક્ષણ પ્રધાન ઘસાન મૌમુને સ્વીકાર્યું કે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) માં એવા કોઈ સૈનિકો નથી જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ વિમાનોનું સંચાલન કરી શકે.
તેઓએ કહ્યું કે હાલમાં અમારા દળમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેની પાસે બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટ ઉડાવવાનું લાઇસન્સ હોય.

માલદીવના ચીન તરફી વલણ ધરાવતા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતીય સૈનિકોની હાજરી ખટકતી હતી અને તેઓને માલદીવ છોડી દેવા આદેશ કરતા ભારતે 76 ભારતીય સુરક્ષા કર્મચારીઓને માલદીવથી પરત બોલાવી લેતા થોડાજ દિવસોમાં ભારતીય સૈનિકોની ખોટ વર્તાઈ છે,માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને આ વાતનો સ્વીકાર કરતા જણાવ્યું કે ભારતીય જવાનો દ્વારા હેલિકોપ્ટર અને વિમાન ઉડતા હતા પણ હવે અહીં કોઈને આવડતું નથી તો તે કોણ ઉડાવશે તે પ્રશ્ન ઊભો થયો છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ પત્રકારોને જણાવ્યું કે માલદીવમાં બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ છે જે ભારતે દાનમાં આપેલા છે પણ તેને ચલાવવા માટે હવે કોઈ છે નહીં કારણ કે અહીં તહેનાત ભારતીય સૈનિકોની ઘરવાપસી બાદ આ વિમાન અને હેલિકોપ્ટર કોણ ઉડાડશે તે પ્રશ્ન ઉભો થયો છે.

એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ઘાસને કહ્યું હતું કે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) પાસે માલદીવના એવા કોઈ સૈન્ય કર્મચારી નથી જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ વિમાનોનું સંચાલન કરી શકે.

જો કે, અગાઉની સરકારો સાથેના કરારો હેઠળ કેટલાક સૈનિકોને ઉડ્ડયનની તાલીમ આપવામાં આવી હતી.

માલદીવને હવે પસ્તાવો થઈ રહ્યો છે.
એક ન્યૂઝ પોર્ટલ દ્વારા ઘાસનને ટાંકીને એવો દાવો કરાયો હતો કે આ એક તાલીમ હતી જેને વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાની જરૂર હતી, પરંતુ અમારા સૈનિકો વિવિધ કારણોસર તેને પૂર્ણ કરી શક્યા ન હતા. તેથી હાલમાં અમારા સશસ્ત્ર દળોમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેની પાસે બે હેલિકોપ્ટર અને ડોર્નિયરને ઉડાડવા માટે લાયસન્સ અથવા સંપૂર્ણ ફ્લાઈંગ ટ્રેનિંગ હોય.

ચીન તરફી નેતા ગણાતા મુઈજ્જુએ માલદીવમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં ભારત પરત મોકલવાનો આગ્રહ કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવની સ્થિતિ પેદા થઇ હતી. ભારતે પહેલા જ 76 સૈનિકોને પાછા બોલાવી લીધા છે.

જોકે, માલદીવના સેન્હિયા મિલિટરી હોસ્પિટલમાં હજુપણ ભારતીય ડોક્ટરો સેવા આપી રહયા છે અને જો તેઓપણ ત્યાંથી નીકળી જાયતો માલદીવ પાસે એવા ડોક્ટર પણ નથી જોકે,આ ડોક્ટરને માલદીવ છોડવા ચીન તરફી નેતા ગણાતા મુઈજ્જુએ કોઈ નિવેદન આપ્યું ન હતું.
મુઈજ્જુના ભારત વિરોધી વલણને કારણે ભારતીય પ્રવાસીઓએ પણ માલદીવ જવાનું ઓછું કરી નાખતા પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડયો છે.