ગુજરાત ATSની ટીમે આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયાના ચાર આતંકવાદી ધરપકડ કરી પુછતાછ કરતા પ્રારંભિક તપાસમાં તેઓ પાકિસ્તાનના અબુના ઈશારે સુસાઇડ બોમ્બર બની મોટા આતંકી હુમલાની ઘટનાને અંજામ આપનાર હોવાની વાતના ખુલાસથી ભારે ખળભળાટ મચ્યો છે.
પકડાયેલા આતંકીઓના નામ નુસરત,ફારીસ,નફરન,રસદીન હોવાનું ખુલ્યું છે.

મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખસને ઝડપી લેવામાં આવ્યા છે.

આ અંગે ડીજીપી વિકાસ સહાયે પત્રકારોને જણાવ્યું હતું કે,18 મેના રોજ ATSના DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી જેમાં ફારીસ, રઝદી અને બીજા બે મૂળ શ્રીલંકાના ચાર ઈસમો તા. 18 મીએ અથવા તા. 19મી અમદાવાદ આવવાના છે અને કોઈ ભારતમાં કોઈ મોટા આતંકી હુમલાને અંજામ આપવાના છે જે અંગેની બાતમીના આધારે દક્ષિણ તરફથી આવતી તમામ રેલવે અને પ્લેનની વિગત મેળવી તમામ ફ્લાઈટ અને રેલવેના મુસાફરોનું લિસ્ટ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.

આ આ બધા વચ્ચે એક જ PNRમાં ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટના લિસ્ટમાં નામ મળી આવતા અન્ય એજન્સીની મદદ લઈ કોલબોથી વેરિફિકેશન કરવામાં આવ્યું હતુ અને આખરે તે મુજબ પ્લાન કરી તમામને ઝડપી લેવામાં સફળતા મળી છે તેઓના ગુજરાતમાં કોઈ કનેક્શન છે કે નહીં તે મામલે ATS તપાસ કરી રહી છે.

તપાસમાં તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.
ATSને આતંકીઓ અંગે બાતમી મળ્યા બાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી અને આખરે એરપોર્ટ ઉપર આતંકીઓ પકડાયા છે તેઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા.
આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી પોલીસે દુભાષીયાની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન તેમની પાસેથી બે મોબાઈલ અને ભારત અને શ્રીલંકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. એક ISISનો ફ્લેગ પણ મળી આવ્યો હતો. મૂળ શ્રીલંકાના ચારેય લોકો ફેબ્રુઆરી 2024માં પાકિસ્તાનના અબુ સાથે સંપર્કમાં આવ્યા હતા. ચારેય લોકોને ભારતમાં કોઈ કૃત્ય કરવા માટે તૈયાર કરાયા હતા.
પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હોવાની વાત સામે આવી છે.
તેઓના મોબાઈલમાં અલગ અલગ વીડિયો અને ફોટો મળ્યા તેમજ પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હોવાની વિગત ખુલી છે.
નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાજ સમયથી ગુજરાત સહિત દેશમાં સ્કૂલોમાં તેમજ જાહેર સ્થળે બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ મળી રહી હતી આ બધા વચ્ચે આતંકીઓ ઝડપાતા તેઓ ક્યાં કઈ ઘટનાને અંજામ આપવાના હતા વગરે બાબતો ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.