પીઢ સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે (12 જાન્યુઆરી) 75 વર્ષની વયે અવસાન થયું

પીઢ સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે (12 જાન્યુઆરી) 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે  ‘પાપા હવે રહ્યા નથી.’ શરદ યાદવ ચાર વખત બિહારની મધેપુરા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રમુખ સાથે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.પીએમ મોદી, બિહારના સીએમ નીતિશ કુમાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આરજેડી પ્રમુખ લાલુ યાદવ સહિત અનેક દિગ્ગજોએ આરજેડી નેતા શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “શ્રી શરદ યાદવ જીના નિધનથી દુઃખ થયું. તેમના લાંબા સાર્વજનિક જીવનમાં, તેમણે પોતાને એક સંસદસભ્ય અને મંત્રી તરીકે ઓળખાવ્યા. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતા. હું તેની સાથેની વાતચીતને હંમેશા યાદ રાખીશ. તેમના પરિવાર અને ચાહકો માટે સંવેદના, ઓમ શાંતિ.”

2016માં નીતીશ કુમારથી અલગ થયા

શરદ યાદવે વર્ષ 2016માં નીતિશ કુમારની જેડીયુ સાથે સંબંધ તોડીને પોતાની પાર્ટી બનાવી હતી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.

વાજપેયી સરકારમાં હતા મંત્રી

શરદ યાદવે 1999 થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગો સંભાળ્યા હતા. 2003માં શરદ યાદવ જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ બન્યા. તેઓ 7 વખત લોકસભાના સાંસદ અને 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી યાદવના પરિવારમાં તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર (શાંતનુ યાદવ) છે.

શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બંધાઈ ગામમાં થયો હતો. એક ખેડૂત પરિવારમાં શરદ યાદવ જનમ્યા હતા. પ્રાથમિક શિક્ષણ દરમિયાન વાંચન અને લેખનમાં તેઓ ખૂબ જ ઝડપી હતા. બાદમાં શરદ યાદવે સક્રિય રાજકારણમાં જોડાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ઓળખ બનાવી છે. બિહારના રાજકારણમાં મોટું સ્થાન હાંસલ કરનાર નેતા શરદ યાદવએ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પછી બિહારમાં રાજકીય ઝંડો ફરકાવ્યો હતો.