રામલલાના અભિષેક બાદ આજે બીજા દિવસે આજે પ્રભુના મંદિરના કપાટ ખુલતા હજ્જારો ભક્તો અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુના દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભારે ભીડ જામી છે.
મોડી રાતથી જ રામ મંદિરની બહાર ભક્તો એકઠા થયા છે જેઓ રામલલાના દર્શન કરવા માંગે છે.

હાલમાં અયોધ્યામાં 6 ડિગ્રીની કડકડતી ઠંડી છે,છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને ભગવાન રામના દર્શન કરવા આતુર છે.
આજથી દરેક ભક્ત શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે, રામલલાના દર્શનનો સમય સવારે 8 થી રાત્રિના 10 વાગ્યા સુધી રહેશે.
સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રામલલાના દર્શન કરવાનો મોકો મળશે, આ પછી બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી લોકો રામલલાના દર્શન કરી શકશે.

શ્રીરામ મંદિરમાં શ્રીરામ લલ્લાનો ભોગ આરતી બપોરે 12 કલાકે થશે અને સાંજે આરતી સાંજે 7.30 કલાકે થશે. આ પછી 8.30 વાગ્યે છેલ્લી આરતી કરીને રામલલાને શયન કરાવાય છે. આરતી માટે ફ્રી પાસ મેળવવાના રહેશે, જે ઓનલાઈન અને ઓફલાઈન લઈ શકાશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ અનુસાર, માન્ય સરકારી આઈડી બતાવીને શ્રી રામ જન્મભૂમિ સ્થિત કેમ્પ ઓફિસમાંથી ઓફલાઈન પાસ મેળવી શકાય છે.
ઓનલાઈન પાસ માટે srjbtkshetra.org વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.