ભારત સાથે તણાવ વધ્યા બાદ માલદીવની ચીન સાથે મિત્રતા વધી રહી છે અને હવે ચીનનું જાસૂસી જહાજ માલદીવ આવવા રવાના થયું છે. ચીનનું જાસૂસી જહાજ ‘જિઆંગ યાંગ હોંગ 03’ માલદીવની રાજધાની માલે તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય નૌકાદળ એલર્ટ થઈ ગયું છે અને તે જહાજ ઉપર નજીકથી નજર રાખી રહયુ છે. આ જહાજ એ જ પ્રકારનું છે જે શ્રીલંકા પાસે જોવા મળ્યું હતું અને ભારતે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો

CNN-News18 ના અહેવાલ મુજબ, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ ચીનના જાસૂસી જહાજથી વાકેફ છે અને તેની હિલચાલ પર નજર રાખી રહયુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી, ‘ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન’ (EEZ) ની અંદર જહાજ દ્વારા કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ હાથ ધરવાનો કોઈ પ્રયાસ થયો નથી તેમછતાં ભારત તેના ઉપર નજર રાખી રહ્યું છે.

માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ ચીન તરફી ગણાતા મોઇજ્જુની પ્રથમ વિદેશ યાત્રા ચીન હતી
તાજેતરમાં, ભારતનું નામ લીધા વિના, મોહમ્મદ મોઇઝુએ કહ્યું હતું કે અમને ધમકાવવાનો કોઈને અધિકાર નથી. તેણે માલદીવની સુરક્ષા માટે તૈનાત ભારતીય સૈનિકોને પણ માલે છોડી દેવા કહ્યુ હતું.

માલદીવ આવા વ્યૂહાત્મક સ્થાન પર સ્થિત છે, જેના કારણે ત્યાં ચીનની હાજરી ભારતની સુરક્ષા માટે ખતરો છે.
ચીન પણ આ વાત સારી રીતે જાણે છે, તેથી જ તે જહાજો મોકલી રહ્યું છે તેવે સમયે ભારત આ જહાજ ઉપર નજર રાખી રહ્યું છે.