આત્મઘાતી હુમલામાં 150થી વધુ લોકો ઘાયલ, ઘાતક વિસ્ફોટને પગલે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ આસિમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે, કેટલાકની હાલત ગંભીર છે. આ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ અંદર જવા દેવામાં આવી રહી છે. પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું કે ઈમારતનો એક ભાગ પડી ગયો છે. ઘણા લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા છે.

પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન અનુસાર, વિસ્ફોટ લગભગ 1:40 વાગ્યે થયો હતો.વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેની નિંદા કરી છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.

અગાઉ પણ કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. 13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.

આ હુમલામાં 3 ચીની નાગરિકો માર્યા ગયા હતા

આ પહેલા 26 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 3 ચીની અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. આ હુમલો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આત્મઘાતી બોમ્બર શરી બલોચે કર્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં પણ ચીની નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. આ પછી, પાકિસ્તાનમાં ચીનના ડેપ્યુટી એમ્બેસેડર પેંગ ચુનક્સ્યુએ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ચીનના ડેપ્યુટી એમ્બેસેડર ચુનક્સ્યુએ કહ્યું- તેમનો દેશ ઇચ્છે છે કે કરાચી કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષિતોને વહેલી તકે સજા મળવી જોઈએ.