ભારતમાં સારવાર માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમની કોલકાતામાં હત્યા કરવામાં આવી છે.

અહેવાલ છે કે તેઓ સારવાર માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગયા હતા.

તેમનું છેલ્લું લોકેશન કોલકત્તાના રાજરહાટ સ્થિત સંજીવા ગાર્ડન્સ હતુ,આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી.
જોકે, આજે બુધવારે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદ્દુજમાન ખાને જાહેરાત કરી હતી કે અઝીમની હત્યા કરવામાં આવી છે.
બાંગ્લાદેશ પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ભારતમાં ગુમ થયેલા અવામી લીગના સાંસદ અજમી અંસારની કોલકાતાના એક ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે તેમના હત્યારા બાંગ્લાદેશીઓ જ છે. તેઓએ કાવતરું ઘડીને સાંસદનો જીવ લીધો હતો.

મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે 56 વર્ષીય સાંસદની હત્યા કેસમાં ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.
જ્યારે તેમને મૃતદેહ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે મંત્રીએ કહ્યું કે તેમને હજુ સુધી આ વિશે માહિતી મળી નથી.
અસદુજમાને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ કેસમાં હત્યા પાછળના કારણોનો ખુલાસો કરશે.
ભારતીય પોલીસ પણ આ મામલે માહિતી એકઠી કરી રહી છે. 
નોંધનીય છે કે અનવારુલ અઝીમ અવામી લીગ પાર્ટીમાંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને કાલીગંજ ઉપજિલ્લા એકમના પ્રમુખ પણ છે. એવું કહેવામાં આવ્યું છે કે ઝીનેડા સંસદીય મતવિસ્તાર કે જ્યાં અપરાધીઓ અને ગુનાના આંકડા ખૂબ ઊંચા છે જ્યાંથી તેઓ ચૂંટાયા હતા. 

અઝીમ 12 મેના રોજ સારવાર માટે ભારત આવ્યા હતા અને ત્યારબાદ તા.18 મેના રોજ કોલકાતાના બદનગર પોલીસ સ્ટેશનમાં તેઓના ગુમ થવા અંગેનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ ઘટના પર દુઃખ અને શોક વ્યક્ત કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગતતા. 12 મે ના રોજ તેઓ ભારતમાં સારવાર માટે આવ્યા હતા પરંતુ પછી લાપતા થઈ જતા ગુમ થયેલા સાંસદની પુત્રી મુમતરીન ફિરદૌસ ડોરેને મીડિયાને તે સમયે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી તેમના પિતા તેમના સંપર્કમાં નથી.
આથી અમે સરકારના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે. પશ્ચિમ બંગાળના બારાનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા મંડલપારા લેનના ગોપાલ વિશ્વાસ નામની વ્યકિતએ સાંસદ ગુમ થવા મામલે ફરિયાદ દાખલ કરી હતી.
સાંસદ અજીમ એક બાંગ્લાદેશી સિમ અને ભારતીય સિમનો મોબાઇલમાં ઉપયોગ કરતા હોવાની વાત સામે આવી છે.