ભારતની પ્રાચીન નગરી અયોધ્યા ખાતે તા.22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ મંદિરમાં થનારા ભગવાનના અભિષેક સમારોહની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે અને સમગ્ર દુનિયામાંથી VVIP પધારશે.
આ પહેલા અયોધ્યા નગરી અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગઈ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમારોહમાં લગભગ 8000 VIP મહેમાનોની વિશેષ હાજરી હશે.
આ અવસરે આકાશથી જમીન સુધી કડક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
અત્યાધુનિક ડ્રોન અને10 હજારથી વધુ સીસીટીવી કેમેરા ખુણે ખુણે ગોઠવી દેવાયા છે.
આ દિવસે અયોધ્યાનું આકાશ દેશ-વિદેશથી આવનારા મહેમાનોના વિમાનોથી ગર્જી ઉઠશે અને એરપોર્ટ ઉપર વિમાનોનો વિશાળ કાફલો જોવા મળશે.
આ સમયે પક્ષીઓને વિમાનથી અથડાતા અટકાવવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં વિશેષ પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) થી લઈને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સુધીના વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

અયોધ્યામાં જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યામાં રામ ભક્તોની ભીડ વધી રહી છે,શ્રીરામ મંદિરના નિર્માણ માટે 500 વર્ષથી વધુ જે સમયથી રાહ જોવાઈ રહી છે, તે સમય હવે આવી પહોંચ્યો છે અને શ્રી રામ ભક્તો આ ક્ષણ જોવા માંગે છે.
કાર્યક્રમ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સી ખાસ સતર્ક છે અને અગાઉથી જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ડિટેકટીવની ટીમ એલર્ટ છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર અને યુપી સરકારની સુરક્ષા એજન્સીઓએ મળીને 7 સ્તરનો સુરક્ષા ઘેરો તૈયાર કર્યો છે.
પહેલા સર્કલમાં અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ એસપીજી કમાન્ડો હશે બીજા સર્કલમાં NSGના જવાનો હશે.ત્રીજા સર્કલમાં આઈપીએસ અધિકારીઓ સુરક્ષાનો હવાલો સંભાળશે. સીઆરપીએફના જવાનો ચોથા સર્કલની જવાબદારી સંભાળશે. પાંચમા સર્કલમાં યુપી એટીએસના કમાન્ડો હશે જે કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં કાર્યવાહી કરવા તૈયાર રહેશે.
છઠ્ઠા સર્કલમાં આઈબીના જવાનો અને સાતમા સર્કલમાં સ્થાનિક પોલીસ જવાનો તૈનાત રહેશે.

શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ-વિદેશના સૌથી શક્તિશાળી અને VVIP લોકો સામેલ થશે.
પીએમ નરેન્દ્ર મોદી સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હશે. આમંત્રિત મહેમાનો ઉપરાંત લાખો ભક્તો પણ તે દિવસે અયોધ્યા પહોંચવાના છે.
આ ઐતિહાસિક કાર્યક્રમ દરમિયાન કોઈપણ સંભવિત હવાઈ હુમલાનો સામનો કરવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ પણ ગોઠવી દેવામાં આવી છે.
શ્રી રામ મંદિરની સુરક્ષા માટે સીઆરપીએફની 6 કંપનીઓ, પીએસીની 3 કંપનીઓ, એસએસએફની 9 કંપનીઓ અને એટીએસ અને એસટીએફની એક-એક યુનિટને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવશે.
આ સાથે 300 પોલીસકર્મીઓ, 47 ફાયર સર્વિસના કર્મચારીઓ, 40 રેડિયો પોલીસ કર્મચારીઓ, 37 સ્થાનિક ગુપ્તચરો, 2 બોમ્બ ડિટેકશન સ્કવોડ ટીમો અને 2 એન્ટી સેબોટેજ સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેઓ માત્ર સ્થળ પર જ નહીં પરંતુ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ અને આંતરછેદો પર પણ તૈનાત કરવામાં આવશે જેથી કોઈપણ ઘૂસણખોરીને અટકાવી શકાય.
દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. અને શંકાસ્પદ દેખાતા વ્યક્તિની ઓળખ પૂછવામાં આવી રહી છે.

કાર્યક્રમ દરમિયાન નજીકથી નજર રાખવા અને લાંબા અંતરના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત રહેશે અને ઘણા સૈનિકો હાઈ સ્પીડ વોટિંગ દ્વારા નજર રાખશે. સ્થાનિક લોકોના મતે, અયોધ્યાની આસપાસ આટલી મજબૂત સુરક્ષા આ પહેલા ક્યારેય નથી જોઈ,
લોકો કહે છે કે આટલું મોટું સેલિબ્રેશન પહેલાં ક્યારેય થયું નથી.
આમ,જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે.