કેનેડા અન્ય દેશોમાંથી અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા વિચારી રહ્યું હોય તેની અસર ભારતમાંથી કેનેડા ભણવા સાથે રોજગારી કમાવા માંગતા વિદ્યાર્થીઓ ઉપર પડશે,હકીકતમાં ભણવા અને કમાવા માટે કેનેડા બેસ્ટ હોવાની વાત પ્રસરતા મોટી સંખ્યામાં યુવાનો કેનેડામાં સ્થાયી થયા હતા કેનેડામાં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતનો હિસ્સો 37% છે,ખાસ કરીને છેલ્લા બે દાયકામાં ત્યાં શીખોની વસ્તી ડબ્બલ થઈ ગઈ છે અને હવે ત્યાં મકાનો ભાડે મળવા પણ મુશ્કેલ બની ગયા છે અને હવે નોકરીની જગ્યાઓ પણ ફૂલ થઈ જતા રોજગારીની સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે.
કેનેડા હાલમાં વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું હોવાના મુખ્ય કારણમાં અન્ય દેશોમાંથી કેનેડા આવતા વિદ્યાર્થીઓ હોવાનું માનવામાં આવે છે.

આ વાત ને લઈ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની વાત કરી ચુક્યા છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઘટાડવા માંગે છે.
મિલરે કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય પ્રાંતીય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાથી તમામ ક્ષેત્રોમાં રહેઠાણની સમસ્યા દૂર થશે નહીં, પરંતુ આ ક્ષણે અમારી પાસે સૌથી યોગ્ય વિકલ્પો પૈકી એક છે.

4 કરોડની વસ્તી ધરાવતા કેનેડામાં હાલમાં 9 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે. કેનેડાના અર્થતંત્રને આગળ વધારવામાં તેમની મહત્વની ભૂમિકા પણ છે.
ભારતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અભ્યાસ અને રોજગારની શોધમાં ત્યાં જાય છે. કેનેડામાં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતનો હિસ્સો 37% છે,વધુ વિદેશીઓના આગમનને કારણે મકાનોની માંગ અને ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે,સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઘટતા હવે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ ઉપર નિયંત્રણ લાવવા કેનેડા સરકાર વિચારી રહી છે.