NRI સહિત ગુજરાતના નાગરિકોને પણ ઝડપી, સીમલેસ, ફાસ્ટટ્રેક અને સુરક્ષિત ઇમિગ્રેશન પ્રક્રિયાનો લાભ મળશે અને લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી કેન્દ્ર સરકારના ” ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ (FTI-TTP)”ની નવી ઇમિગ્રેશન સુવિધાનો પ્રારંભ થયો છે. દેશના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઈમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી અને સુગમ બનાવવા માટે શરૂ કરાયેલ આ પહેલ હવે અમદાવાદ, મુંબઈ અને ચેન્નઈ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર પણ ઉપલબ્ધ છે.
આ ટેકનોલોજી આધારિત પ્રોગ્રામ હેઠળ મુસાફરોને હવે ઓટોમેટેડ ઇ-ગેટથી પ્રવેશની તક મળશે. તેમાથી ગુજરાતી મુસાફરોને પણ લાભ થશે, કારણ કે લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે અને ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ થશે.
શું છે FTI-TTP?
FTI-TTP પહેલા વખત 2024માં દિલ્હી એરપોર્ટ પરથી શરૂ કરવામાં આવ્યું હતું. આ યોજના ખાસ કરીને ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે બનાવવામાં આવી છે. રજિસ્ટ્રેશન પછી મુસાફરો તેમના પાસપોર્ટ અને બોર્ડિંગ પાસને ઇ-ગેટ પર સ્કેન કરી શકે છે અને બાયોપેટ્રિક ચેક બાદ તેમને સીધું પ્રવેશ મળે છે – એટલે કે, દસ્તાવેજ ચકાસણી માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.
આ સમગ્ર પ્રોસેસ ઓનલાઇન પોર્ટલ https://ftittp.mha.gov.in દ્વારા સંચાલિત થાય છે. અરજીકર્તાઓએ ઓનલાઈન ફોર્મ ભરવું રહેશે, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા પડશે અને બાયોમેટ્રિક્સની નોંધણી કરાવવી પડશે.
આગામી તબક્કાઓમાં આ સેવા અન્ય વિમાનમથકો સુધી વિસ્તારી શકાય છે, અને ભવિષ્યમાં વિદેશી પ્રવાસીઓને પણ આનો સમાવેશ થવાની શક્યતા છે.