ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી
રથયાત્રાની વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખી છે. અમિત શાહે મંગળા આરતી કરી હતી. અમિત શાહની સાથે આ આરતીમાં જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આરતી કર્યા બાદ અમિત શાહ મંદિરથી રવાના થયા હતા.

મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર કરી પહિંદવિધી
આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૬મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે બીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે.

આ અવસરે મહંત દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધરાસભ્યશ્રીઓ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.