ઘરઆંગણે વનડે શ્રેણીમાં 12 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ માત્ર 99 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય ચેઝ કર્યો

સિરાજ મેન ઓફ ધ સિરીઝ, કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી છેલ્લી ODI મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ શિખર ધવનના નેતૃત્વમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને સમગ્ર ટીમ માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને સૌથી વધુ ચાર વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા દક્ષિણ આફ્રિકાએ 26 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 28મી ઓવરના પ્રથમ બોલમાં 99 રનમાં આઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 34 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.

સ્કોરનો પીછો કરતા ભારતે શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જોકે, શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી અને માત્ર એક રનથી તેની અડધી સદી ચૂકી ગયો. ભારતે 19મી ઓવરના પહેલા બોલે જીત મેળવી હતી.

લખનૌમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ નવ રનથી નજીકનો વિજય મેળવ્યો હતો. આ પછી રાંચીમાં રમાયેલી બીજી વનડેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. દિલ્હીમાં રમાયેલી શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.