ભગવાન શ્રી રામની પ્રાચીન નગરી અયોધ્યામાં હાલ નવું વિશાળ રામ મંદિર આકાર લઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં જાણીતા બનેલા યુપીના આ પ્રાચીન શહેરમાં બ્રિટિશ કંપની ટ્રફાલ્ગર સ્ક્વેર કેપિટલ અયોધ્યામાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહી છે અને આ માટે કંપનીએ પાંચ એમઓયુ સાઈન કર્યા છે.
જેનું કુલ રોકાણ રૂ. 75000 કરોડનું છે,જે દેશના કોઈપણ એક જિલ્લામાં એક સાથે થઈ રહેલું આ સૌથી મોટું રોકાણ છે.

અહીં FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) પોલિસી હેઠળ પાંચ મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો છે.
જેમાં હોંગકોંગની કંપની ટૌશન ઈન્ટરનેશનલ ગ્રુપ, આરજી ગ્રુપ, ઓસ્ટીન કન્સલ્ટીંગ ગ્રુપ, કોસીસ ગ્રુપ, ઈન્ડો યુરોપીયન ચેમ્બર ઓફ સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝીસ, બ્રિટનનું ટ્રફાલ્ગર સ્ક્વેર કેપિટલ ગ્રુપ, એબીસી ક્લીનટેક, યુનિકોર્ન એનર્જી જર્મની વગેરેનો સમાવેશ થાય છે.

જેમાંથી બ્રિટનના ટ્રફાલ્ગર સ્ક્વેરે પાંચ એમઓયુ અને જર્મનીની યુનિકોર્ન એનર્જીએ બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
અહીં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સંરક્ષણ ઉત્પાદન એકમો સ્થાપવામાં આવશે. તેના પર 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ગ્રુપે રોકાણ માટે અયોધ્યાની પસંદગી કરી છે. આ રોકાણથી ઓછામાં ઓછી 26 હજાર નવી નોકરીઓનું સર્જન થશે.

ડિફેન્સ કોરિડોરની બહાર ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. એક જિલ્લામાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કદાચ દેશના કોઈપણ એક જિલ્લામાં સૌથી મોટું રોકાણ હશે. જર્મનીની યુનિકોર્ન એનર્જી બે પ્રોજેક્ટ દ્વારા લખનૌ અને જૌનપુરમાં પ્રવેશ કરશે. બંને પ્રોજેક્ટમાં લગભગ 42 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

આ બંને પ્રોજેક્ટ સૌર ઉર્જા ક્ષેત્રના હશે. જેમાં લગભગ 2200 લોકોને રોજગારી મળશે. જીએમઆર ગ્રૂપે સૌર ઊર્જામાં રોકાણ માટે રૂ. 40 હજાર કરોડના એમઓયુને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે. સ્થળ હજુ પસંદ કરવામાં આવ્યું નથી.

આદિત્ય બિરલા ગ્રુપે 25 હજાર કરોડ રૂપિયાના નવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ ગ્રૂપ રાજ્યમાં ટેક્સટાઈલ અને રેડીમેડનું મોટું યુનિટ સ્થાપશે. હિન્દુજા ગ્રૂપે અશોક લેલેન્ડ સાથે EV વાહનો માટેના કરારને અંતિમ સ્વરૂપ આપ્યા પછી ફિલ્મ, મીડિયા અને સૌર ઉર્જા ક્ષેત્રમાં પણ રૂ. 25 હજાર કરોડનું રોકાણ કર્યું છે.

બંને કંપનીઓએ હજુ સુધી સ્થળ પસંદ કર્યું નથી. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને સૌર ઉર્જા અને ઉર્જા ક્ષેત્રે 6 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કોર્પોરેશન ઝાંસી, સોનભદ્ર અને પ્રયાગરાજમાં 74 હજાર કરોડ રૂપિયાથી પ્લાન્ટ સ્થાપશે.
આમ,અયોધ્યામાં નવા રોકાણને પગલે નવી રોજગારની તકો ઉપલબ્ધ બનશે.